જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં આજે સવારે દૂધ આપવા જઈ રહેલા એક રિક્ષા ચાલકને અચાનક ચાલુ રિક્ષાએ હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ જામનગરના ધરારનગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ સંધિ (ઉ.વ. 50) નામના આધેડ તેની રીક્ષા છકડામાં દૂધ આપવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેઓને ચાલુ રિક્ષામાં જ હૃદયરોગનો હુમલો આવતા નીચે પટકાયા હતા અને રિક્ષા પણ આગળ જઇ બંધ થઇ ગઇ હતી. ચાલુ રિક્ષાએ ચાલકને હાર્ટએટેક આવતાં પડી જતાં લોકો એકઠા થઇ ગયા હતા અને તાત્કાલિક પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને આધેડને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. જેના આધારે પોલીસે ઇસ્માઇલભાઇના મૃતદેહનો કબ્જો સંભાળી પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


