જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારથી જ શહેરના નવાગામના સ્વામી નારાયણનગર, મધુવન સોસાયટી વિસ્તારમાં મેગા ડીમોલેશન કામગીરીહાથ ધરવામાં આવી હતી. 10 જેટલા જેસીબી, 6 ટ્રેકટર, 1 હિટાચી સહિતના મશીનો સાથે જામ્યુકોની ટીમ, અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન માટે પહોંચી હતી. 150 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓના કાફલા દ્વારા 3.5 કિલોમીટર વિસ્તારમાં 4,51,854 ચો. મી. જગ્યા ખુલ્લી કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન કોર્પોરેટર રચનાબેન 100 જેટલા સ્થાનિકોને લઇ વિરોધ કરતાં અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસ દ્વારા કોર્પોરેટર સહિતની વિરોધ કરતી વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરમાં નદી કિનારે દબાણ હટાવવાની ઝુંબેશ હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં જામનગરના નદીના પટના વિસ્તારોમાં એસ્ટેટ શાખા દ્વારા ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રાખતા આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગર શહેરના સ્વામી નારાયણનગર, મધુવન સોસાયટીમાં મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યા જામનગર શહેરમાં સર્જાતી હોય છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગર શહેરમાં 12 મીટર ડીપી કપાત અંતર્ગત આજે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં સ્વામી નારાયણનગર, મધુવન સોસાયટી સહિતના વિસ્તારોમાં અંદાજિત 300 થી વધુ ગેરકાયદેસર દબાણકારોને જામ્યુકોએ નોટીસ પાઠવી હતી. નોટીસની મુદ્દત પૂરી થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા ડીમોલીશન કામગીરી હાથ ધરી છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે સવારથી જ જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા, લાઇટ શાખા સહિતની વિવિધ શાખાના 150 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ જામનગર શહેરના સ્વામી નારાયણનગર, મધુવન સોસાયટીમાં ડીમોલીશન માટે પહોંચ્યા હતા. 10 જેટલા જેસીબી, 6 ટ્રેકટર અને એક હિટાચી મશીન સહિતની મશીનરી સાથે 3.5 કિ.મી. વિસ્તારમાં 4,51,854 ચો. મી. જગ્યા ખુલ્લી કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ તકે જામ્યુકો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ડીમોલીશન કામગીરી હાથ ધરવામાં આવતાં જામનગરના વોર્ડ નંબર ચારના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયા 100 જેટલા સ્થાનિકો સાથે પહોંચી જઇ ડીમોલીશનનો વિરોધ કર્યો હતો અને આ દબાણો બાબતે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય, મુદ્દત આપવા રજૂઆતો કરી હતી. આ રજૂઆતો વચ્ચે પણ જામ્યુકો દ્વારા ડીમોલીશન કામગીરી ચાલુ રાખવામાં આવતા જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમ્યાન વિરોધ અને બબાલ વધતાં પોલીસ દ્વારા કોર્પોરેટર રચનબેન નંદાણિયા સહિત પાંચ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી યથાવત્ રાખવામાં આવી હતી.


