જામનગર શહેરમાં આવેલી એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તબીબ વિદ્યાર્થીએ ઈન્ટરનલ પરીક્ષાની તૈયારી કરેલ ન હોવાથી નાપાસ થવાની બીકે બોયઝ હોસ્ટેલના રૂમમાં ગુરૂવારે બપોરના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાની ઘટનાથી અરેરાટી ફેલાઈ ગઇ હતી.
જામનગર શહેરમાં તબીબ વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈ આત્મહત્યાથી અરેરાટી
ઈન્ટરનલ પરીક્ષાની તૈયારીઓ ન થવાથી નાપાસ થવાની બીક : બોયઝ હોસ્ટેલના રૂમમાં જિંદગી ટૂંકાવી : તબીબ વિદ્યાર્થીઓમાં અરેરાટી : પોલીસ દ્વારા કાર્યવાહી#jamnagar #news pic.twitter.com/mbl0KrcGVh
— Khabar Gujarat (@khabargujarat) May 13, 2022

બનાવની વિગત મુજબ, મૂળ ગાંધીનગરના વતની અને હાલ જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજના એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અને બોયઝ હોસ્ટેલ 8 ના રૂમ નં.06 માં રહેતા સેજાન બાબુભાઈ મન્સુરી (ઉ.વ.19) નામના તબીબ વિદ્યાર્થીએ તેની ઈન્ટરનલ પરીક્ષા શરૂ થનાર હોય અને આ પરીક્ષાની તૈયારી કરી ન હોવાથી નાપાસ થવાની બીકે છેલ્લાં બે-ત્રણ દિવસથી ગુમસુમ રહેતો હતો અને ગુરૂવારે બપોરના સમયે તેના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તબીબ વિદ્યાર્થી દ્વારા આત્મહત્યા કરાતા વિદ્યાર્થીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને આ અંગેની જાણ થતા હોસ્પિટલના તબીબી અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતાં અને બનાવની જાણ નરેન્દ્રકુમાર દ્વારા કરવામાં આવતા પીએસઆઇ એ.બી.સપિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી.


