બરડા ડુંગર નજીકમાં આવેલા મોખાણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના સતત આંટાફેરાને કારણે ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડા દ્વારા પશુઓના મારણની ઘટનાઓ સતત વધી રહી છે, જેને પગલે ખેડૂતો અને માલધારીઓ પોતાના પશુધનને લઈને ચિંતામાં મુકાયા છે.
ગઈકાલે રાત્રે ગામની તદ્દન નજીક આવેલી ખેડૂત વેજાભાઈ અરજણભાઈ મોરીની વાડીમાં દીપડાએ ત્રાટકીને ગાયના એક વાછરડાનું મારણ કર્યું હતું. ખેડૂત પરિવારના જણાવ્યા અનુસાર, મારણ કર્યા બાદ પણ દીપડો હજુ વાડીની આસપાસના વિસ્તારમાં જ ભ્રમણ કરી રહ્યો છે, જેના કારણે પરિવારમાં ભય વ્યાપી ગયો છે. ગ્રામજનોનું કહેવું છે કે દીપડો હવે માનવ વસવાટની સાવ નજીક આવી પહોંચ્યો હોવાથી માત્ર પશુઓ જ નહીં, પણ માણસો પર પણ હુમલો થવાની ભીતિ સેવાઈ રહી છે.
મોખાણા ગામમાં અવારનવાર દીપડા દ્વારા પશુધન પર હુમલા કરવામાં આવે છે. વારંવાર રજૂઆતો છતાં દીપડાનો ત્રાસ ઓછો ન થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે ગામની સીમમાં પાંજરૂ ગોઠવવામાં આવે. દીપડાને પકડીને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે. પશુમારણનો ભોગ બનેલા ખેડૂતને યોગ્ય વળતર આપવામાં આવે.


