Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરનો જનાદેશ EVMમાં સીલ : 53.38 ટકા મતદાન

જામનગરનો જનાદેશ EVMમાં સીલ : 53.38 ટકા મતદાન

મતદારોમાં ઉત્સાહ છતાં 2015ની સરખામણીએ જામનગરમાં 3.18 મતદાન ઓછું : 64 બેઠકો માટેના 236 ઉમેદવારોના ભાવિનો કાલે ફેંસલો : હરિયા કોલેજમાં મત ગણતરી માટેનો તખ્તો તૈયાર

- Advertisement -


જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે ગઇકાલે મતદાન યોજાયું હતું. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટીતંત્રના માઇક્રોપ્લાનીંગના સમન્વય સાથે જામનગરમાં શાંતીપ્રિય રીતે મતદાન પૂર્ણ થયું હતું.

- Advertisement -

શરૂઆતના બે કલાકમાં નોંધાયેલ 4.92 ટકા મતદાન નોંધાયા બાદ અંતિમ બે કલાકમાં 4 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. તમામ વોર્ડમાં શહેરીજનોની લાઇનો લાગી હતી. જામનગરમાં 16 વોર્ડની 64 બેઠકો માટે સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ કુલ 49.64 ટકા મતદાન નોંધાયું હતું. જામનગરમાં સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 53.38 ટકા મતદાન નોંધાયું હતું. કુલ 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમ મશીનમાં સીલ થઇ ચુકયું છે. જામનગરની જનતાએ કોને પોતાના જનસેવક તરીકે ચૂંટયા છે તે 23 ફેબ્રુઆરીના રોજ સામે આવશે. કોરોના મહામારી વચ્ચે જામનગરમાં સૌ પ્રથમ વખત ચુંટણી યોજાય હતી. કોરોનાને ધ્યાને લઇ જામનગરના મતદાન મથકોએ સેનેટાઇઝર તેમજ થર્મલ સ્ક્રિનીંગ સહિતની તકેદારી વહિવટી તંત્ર દ્વારા રાખવામાં આવી હતી. તેમજ મતદાન માટે આવતા મતદારોને હાથના મોજા પણ આપવામાં આવ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા ગઇકાલે શાંતિપ્રિય વાતાવરણમાં યોજાઇ હતી. સવારે 7 વાગ્યાથી પ્રક્રિયા અંતિમ તબકકા પહોંચી ત્યાં સુધી આ માહોલ જળવાઇ રહેતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. 4,88,996 મતદારો ધરાવતી મહાનગરપાલિકાના 645 મતદાન મથકો પર મતદારો એ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં જામનગરના વોર્ડ નં.1માં સૌથી વધુ 61.50 ટકા તથા વોર્ડ નં.9માં સૌથી ઓછું 46.38 ટકા મતદાન નોંધાયું હતું. જામનગરમાં સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 1,42,827 પુરૂષો તથા 1,18,218 મહિલાઓ મળી 2,61,045 મતદારોએ મતદાન કર્યું હતું. યુવાઓથી લઇ વડિલ વર્ગ સહિતના મતદારો મતદાન મથક સુધી ખેંચાયા હતા. પ્રથમ બે કલાકના ગાળામાં કુલ 4.92 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદની બે કલાક એટલે કે, 9 થી 11માં મતદાનનો 12 ટકા જેવો વધારો થતાં 16.45 ટકાએ પહોંચ્યું હતું. જો કે, બપોરે 1 વાગ્યા સુધીમાં ફકત 28 ટકા જેટલુ જ મતદાન થતાં રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઇ હતી અને રાજકીય પક્ષો દ્વારા મતદારોને મતદાન મથકોએ લાવવા કવાયત હાથ ધરી હતી. જેના પરિણામે બપોરે 1 થી 3માં મતદાનની ટકાવારી વધીને 38.75 ટકાએ પહોંચી હતી. ત્યારબાદ મતદાનનો સિલસિલો વધતાં બપોરે 3 થી 5માં 49.64 ટકાએ પહોંચી ગયું હતું અને અંતિમ એક કલાકમાં મતદારોની લાંબી લાઇનો લાગતાં વધુ 4 ટકા મતદાન થતાં સરેરાશ મતદાન 53.64 ટકા સુધી પહોંચ્યું હતું.

- Advertisement -

જામનગર સહિત 6 મહાનગરપાલિકાઓમાં સમગ્ર દિવસ દરમિયાન ધીમી ધારે મતદાન યોજાયું હતું. 6 મહાનગરપાલિકાઓમાં દિવસભર સતત જામનગરનું મતદાન પ્રથમ નંબરે રહ્યું હતું. જામનગર સહિત 6 મહાનગરપાલિકાઓમાં ધીમા મતદાનને કારણે રાજકિય પક્ષો પણ ચિંતામાં મુકાયા હતા. જામનગરમાં ધીમા મતદાનને ધ્યાને લઇ મતદારોને મતદાન મથકો સુધી લઇ જવા માટે કાર્યકરોને ભારે પરશેવો પાડવો પડયો હતો. શહેરના ઘણાં વિસ્તારોમાં સિનિયર સિટિઝનો સાથે અન્ય મતદારોને મતદાન મથક સુધી લઇ જવા વાહનો દોડાવ્યા હતાં. જામનગરમાં સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થતાં યુવાઓ-વડિલો સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. જામનગરના મુખ્ય ચુંટણી અધિકારી તથા કલેકટર રવિશંકર, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલભાઇ કગથરા, ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, પૂર્વ જામ્યુકો વિપક્ષીનેતા અલતાફ ખફી તથા અસલમ ખીલજી સહિતના અનેક અગ્રણીઓએ સવારે જ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી. વોર્ડ નં. 7ના ઉમેદવાર ગોપાલભાઇ સોરઠીયાને ચૂંટણી પહેલાં બંને પગે ફ્રેકચર થયું હોય, તેઓ વ્હીલચેરની મદદથી મતદાન કરવા પહોંચ્યા હતાં. આ ઉપરાંત જામનગરમાં 100 વર્ષથી વધુ વયના વૃધ્ધ, દિવ્યાંગો સહિતના મતદારોએ પણ જાગૃતતા દાખવી મતાધિકારની ફરજ નીભાવી હતી તો બીજી બાજુ મહાનગરપાલિકાની ચુંટણી લડતા ઉમેદવારોએ પણ વીજયના વિશ્ર્વાસ સાથે મતદાન કર્યું હતું. જામનગરમાં સૌપ્રથમ વખત મતદાન કરતાં યુવાનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વોર્ડ નં.1ના ભાજપના ઉમેદવાર ફિરોજભાઇ પતાણી ધોડેસવાર થઇ મતદાન કરવા પહોંચ્યા હતા.

જામનગર મહાનગરપાલિકાની વર્ષ 2015માં યોજાયેલ ચૂંટણીમાં 56.76 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 2021માં 53.38 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતાં 3.38 ટકા ઓછું મતદાન નોંધાયું છે. જામનગરમાં સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી યોજાયું હતું. જો કે કેટલાંક સ્થળોએ 6 વાગ્યા બાદ પણ મતદાન મથકોએ ઉમેદવારોની લાંબી લાઇન હોય તેવા સ્થળોએ મતદાન મથકમાં પ્રવેશી ચુકેલા મતદારો માટે મતદાન પ્રક્રિયા ચાલુ રખાય હતી. જામનગર મહાનગપાલિકાના 16 વોર્ડની 64 બેઠકોના રાજકીય પક્ષો, અપક્ષ ઉમેદવારો મળી 236 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થઇ ગયું છે. ગઇકાલે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયેલ મતદાનની મતગણતરી મંગળવાર તા.23 ફેબ્રુઆરીના રોજ યોજાશે.

- Advertisement -

20 બેલેટ અને 12 કંટ્રોલ યુનિટ બગડયાં

જામનગરમાં મતદાન દરમિયાન કોઇ મોટી ઘટના બની ન હતી. માત્ર કેટલાંક સ્થળોએ ઇવીએમ ખરાબ થવાની તથા ટેકનીકલ ક્ષતિઓ સર્જાઇ હતી. જ્યાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ પોલીસ દોડી ગઇ હતી. જામનગરમાં 20 બેલેટ યુનિટ અને 12 કંટ્રોલ યુનિટ બદલવા પડયા હતાં. જેમાં વોર્ડ નં. 2માં બે બેલેટ અને એક કંટ્રોલ યુનિટ, વોર્ડ નં. 9માં એક બેલેટ અને એક કંટ્રોલ યુનિટ, વોર્ડ નં. 10 અને 11માં ચાર બેલેટ અને બે કંટ્રોલ યુનિટ, વોર્ડ નં. 12માં બે બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટ, વોર્ડ નં. 15માં છ બેલેટ અને ત્રણ કંટ્રોલ યુનિટ તેમજ વોર્ડ નં. 16માં એક બેલેટ યુનિટ અને એક કંટ્રોલ યુનિટનો સમાવેશ થાય છે.

ચુસ્ત બંદોબસ્તથી સર્વત્ર શાંતિ…

ગઇકાલે યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસની ચુસ્ત વ્યવસ્થા અને વહીવટતંત્રના માઇક્રોપ્લાનીંગના કારણે મતદારોએ શાંતિપૂર્ણ રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 64 ઉમેદવારો માટે 645 મતદાન મથકો પર મતદાન યોજાયું હતું. વહીવટ તંત્ર દ્વારા શનિવાર રાત સુધીમાં જ તમામ બુથ ઉપર સ્ટાફ અને ઇવીએમ મશીન સહિતની જરૂરી સાધન સામગ્રી પહોંચતી કરવામાં આવી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા આ ચૂંટણીમાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે તમામ બુથ ઉપર ચુસ્ત બંદોબસ્ત શનિવાર રાતથી જ ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ ઘોષિત કરાયેલ 300 થી વધુ મથકો ઉપર પોલીસ જવાનોએ કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. ચૂંટણી કાર્ય પૂર્ણ થઇ ગયા બાદ તમામ મતદાન મથકો ઉપર પ્રિસાઇડીંગ ઓફીસરોએ ઇવીએમ મશીન સીલ કર્યા હતા અને પોલીસ જાપતા હેઠળ આ તમામ ઇવીએમ સ્ટ્રોંગરૂમ ખાતે રખાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular