Wednesday, July 3, 2024
Homeરાજ્યજામનગરશેઠવડાળામાં પાંચ, સમાણામાં 4.5 ઇંચ વરસાદ - VIDEO

શેઠવડાળામાં પાંચ, સમાણામાં 4.5 ઇંચ વરસાદ – VIDEO

વાસંજાળિયા, ધ્રાફા, પરડવા અને નવાગામમાં 3-3 ઇંચ, જામનગર જિલ્લામાં અડધાથી પાંચ ઇંચ વરસાદથી નદીઓ બે કાંઠે : જામનગર શહેરમાં સવારે ઘટાટોપ વાદળો વચ્ચે બે કલાકમાં 1.5 ઇંચ વરસાદથી શહેરીજનોને ગરમીમાં રાહત

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદી માહોલ સર્જાયા બાદ ગઇકાલે બપોર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું હતું. ત્યારે સવારે જામનગર શહેરમાં પણ મેઘરાજાના આગમનથી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. જામનગર શહેર જિલ્લામાં અડધાથી પાંચ ઇંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. તો કેટલાક સ્થળોએ નદીઓ પણ બે કાંઠે થઇ હતી. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં ખુશીની લેહર છવાઇ હતી. જામજોધપુર તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસતાં શેઠવડાળામાં પાંચ ઇંચ તથા સમાણામાં 4.5 ઇંચ, કાલાવડમાં ભલસાણ બેરાજામાં 2.5 ઇંચ, નવાગામમાં 3 ઇંચ પાણી વરસ્યું હતું. જામનગર શહેરમાં આજે સવારે બે કલાકમાં દોઢ ઇંચ તથા કાલાવડમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.

- Advertisement -

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર,દ્વારકા સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહયા છે. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 2-4 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. પરંતુ જામનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરીજનો વરસાદની રાહ જોઇ રહયા હતા. ત્યારે આજે સવારે જામનગર શહેરમાં પણ મેૅઘરાજાએ 1.5 ઇંચ જેટલું પાણી વરસાવી દેતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. કાલાવડ તાલુકામાં મેઘરાજા મન મુકીને વરસી રહયા છે. ફરી એક વખત 3 ઇંચ જેટલો વરસા વરસી જતાં કાલાવડમાં પાણી-પાણી થયું હતું. ગઇકાલે સવારથી જામનગર તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. જેમાં ગઇકાલે બપોર બાદ ધ્રોલ, લાલપુરમાં દિવસભર વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. જયારે જોડિયા તાલુકામાં બપોરે 4 થી 6 દરમ્યાન એક ઇંચ સહિત દિવસભરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

આજે સવારથી જામનગર તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. કાળાડંબર વાદળો છવાયા બાદ મેઘરાજાનું આગમન થયું હતું. કાલાવડ તાલુકામાં સવારે 6 થી 8 દરમ્યાન 3 ઇંચ તથા સવારે 8 થી 40 દરમ્યાન વધુ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જામજોધપુર તાલુકામાં સવારે 6 થી 10 દરમ્યાન સવા ઇંચ, લાલપુર તાલુકામાં 1 ઇંચ વરસાદી વરસ્યો હતો. જયારે જામનગર શહેરમાં સવારે 8 થી 10 દરમ્યાન બે કલાકમાં દોઢ ઇંચ વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ઘટનાઓ સામે આવી હતી. ધ્રોલ તાલુકામાં પણ વરસાદી ઝાપટું વરસી જતાં લોકોએ વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો.

જામનગર શહેરમાં દોઢ ઇંચ તથા કાલાવડ તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. સવારના સમયે વરસાદથી શાળાએ જતાં બાળકો મુશ્કેલીમાં મુકાયા હતા અને વાલીઓ રેઇનકોટ પહેરાવી બાળકોને શાળાએ પહોંચાડયા હતા. જામનગર શહેરમાં વહેલી સવારથી જ ઘટાડો વાદળો છવાયા બાદ થયેલા વરસાદથી ટાઉનહોલ, બેડીગેઇટ, તળાવની પાળ, પંચેશ્ર્વર ટાવર સહિતના અનેકવિધ વિસ્તારોના માર્ગો પાણી-પાણી થયા હતા. ઘટાટોપ વાદળોને કારણે જામનગર શહેરમાં મેઘરાજા ધમરોળી નાખે તેવો માહોલ સર્જાયો હતો. પરંતુ દોઢ ઇંચ જેટલું જ પાણી વરસ્યું હતું.

- Advertisement -

શહેર તથા તાલુકાની સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા તથા આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં પ ઇંચ, સમાણામાં 4.5 ઇંચ, ધ્રાફામા તથા પરવડામાં 3-3 ઇંચ, જામવાડીમાં 2.5 ઇંચ, ધુનડામાં 1 ઇંચ, કાલાવડ તાલુકાના નવાગામમાં 3 ઇંચ, ભલસાણ બેરાજામાં અઢી ઇંચ, મોટા વડાળામાં પોણા બે ઇંચ, ખરેડીમાં 17 મી.મી. તથા મોટા પાંચ દેવડામાં 1 ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોડામાં 1.5 ઇંચ, મોટા ખડબા, પડાણા, મોડપરમાં 1-1 ઇંચ, ભણગોરમાં 19 મી.મી., હરિપરમાં 8 મી.મી., જોડિયા તાલુકાના પીઠડ તથા બાલંભામાં દોઢ-દોઢ ઇંચ, હરિણામાં અડધો ઇંચ, જામનગર તાલુકાના મોટી ભલસાણમાં સવા ઇંચ, ફલ્લામાં અડધો ઇંચ, વસઇમાં 9 મી.મી., દરેડમાં 3 મી.મી. તથા લાખાબાવળમાં ર મી.મી. પાણી વરસ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા વરસાદથી નદી નાળાઓમાં પાણીને પરિણામે બે કાંઠે થયા હતા. જયારે ખેતરોમાં પણ પાણી ફરી વળ્યાં હતા. લોકોને ગરમીથી રાહત મળી હતી. તો બીજી તરફ ખેડૂતો વરસાદથી ખુશીનો માહોલ છવાયો હતો. બાળકોએ વરસાદમાં ન્હાવાની મજા પણ માણી હતી. ગઇકાલે રવિવારે રજાનો દિવસ હોય ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોએ વરસાદનો આનંદ ઉઠાવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular