જામનગર શહેરમાં અતિભારે વરસાદને પગલે ઉભી થયેલી ગંદકીની સ્થિતિ તેમજ રસ્તાઓના ધોવાણ અંગે બસપા દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક સફાઇ અને મરામત અભિયાન હાથ ધરી જંતુનાશક દવાનો છંટકાવ કરવા માગણી કરવામાં આવી છે.
બસપાના જામનગર શહેરના મહિલા પ્રમુખ મીનાબેન રાઠોડની આગેવાનીમાં મ્યુ. કમિશનરને આવેદનપત્ર પાઠવી કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.
તાજેતરના ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ પામી હતી. જેના કારણે આ વિસ્તારોમાં સર્વત્ર ગંદકીનું સામ્રાજ્ય છવાઇ ગયું છે. તેમજ લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયું હોવાના કારણે લોકોની ઘરવખરી પલળી ગઇ છે અને ઘરોમાં પણ કાદવ-કિચડ ઘુસી ગયા છે. જેની તાત્કાલિક સફાઇ જરુરી બની છે.
આ વિસ્તારોમાં ગંદકીના કારણે રોગચાળો ફાટી ન નિકળે તે માટે સફાઇ બાદ દવા છંટકાવ કરાવવા પણ માગણી કરવામાં આવી છે. ઉપરાંત શહેરના જે વિસ્તારોમાં વરસાદને કારણે માર્ગોનું ધોવાણ થયું છે. તેવા માર્ગોને તાકિદે મરામત હાથ ધરવા પણ જણાવવામાં આવ્યું છે.


