જામનગર શહેરના મયુરનગર સાયોના શેરીમાં રહેતો યુવાન તેના ઘરે કોઇ કારણસર બેશુધ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં મયુરનગર શેરી નંબર-4 માં સાયોના શેરીમાં રહેતાં ઈન્દ્રજીતસિંહ મહિપતસિંહ ચુડાસમા (ઉ.વ.26) નામનો આશાસ્પદ યુવાન ગત તા. 4 ના રોજ સાંજના સમયે તેના ઘરે કોઇ કારણસર બેશુદ્ધ થઇ જતાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શનિવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે બળવંતસિંહ ચુડાસમા દ્વારા જાણ કરાતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે જામનગર શહેર સહિત સમગ્ર દેશભરમાં છેલ્લાં એકાદ વર્ષથી હૃદયરોગના હુમલામાં બાળકોથી લઇને યુવાનોના મૃત્યુ થવાની ઘટનાએ દેશભરમાં ચિંતા ઉપજાવી છે અને તેમાં પણ જામનગરમાં નાના બાળકોથી લઇ યુવાનોને ઘાતક હૃદયરોગના હુમલા આવવાની ઘટનાથી યુવાનોમાં ભય ફેલાઈ ગયો છે.


