Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં સારા પાછોતરા વરસાદ થવાની આમરા ગામે આપ્યા એંધાણ - VIDEO

જામનગરમાં સારા પાછોતરા વરસાદ થવાની આમરા ગામે આપ્યા એંધાણ – VIDEO

સદીઓ જૂની પરંપરા અનુસાર જામનગરના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવાયો

- Advertisement -

જામનગર નજીક આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો મેળવવામાં આવ્યો હતો. જેમાં આ વર્ષે સારા ચોમાસાના એંધાણ મળ્યા હતાં. જેને લઇ ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ હતી.

- Advertisement -

જામનગર નજીક આમરા ગામમાં કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો જોવાની સદીઓ જૂની પરંપરા છે. અષાઢ મહિનાના પ્રથમ સોમવારે આમરા ગામમાં આવેલા ભમરીયા કુવામાં રોટલો પધરાવી તેની દિશાને આધારે વરસાદનો વરતારો જોવામાં આવે છે. કૂવામાં રોટલો પધરાવી વરસાદના વરતારાને આધારે ખેતીપ્રધાન ગામડાના વર્ષના ભાવિનું અનુમાન નકકી કરવામાં આવે છે. સદીઓ જૂની પરંપરા અનુસાર અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગ્રામજનોની હાજરીમાં પૂજા-અર્ચન બાદ આ વિધિ સંપન્ન થઈ હતી અને સારા ચોમાસાના એંધાણ મળ્યા હતા.

- Advertisement -

જામનગર તાલુકાનું આમરા એક એવું ગામ કે જ્યાં અનોખી રીતે વરસાદનો વરતારો કરવામાં આવે છે. અષાઢ માસમાં પ્રથમ સોમવારે ગ્રામજનો ઢોર નગારા સાથે ઉમટે છે. ગામના સતવારા પરિવારના ઘરે બનાવવામાં આવેલો બાજરીનો રોટલો વાણંદના હાથે મંદિર સુધી લઇ જવામાં આવે છે. ત્યારબાદ કુવાકાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પ્રથમ પૂજા અર્ચના કરવામાં આવે છે અને ત્યારબાદ ગામના ક્ષત્રિય પરિવારના સભ્યના હાથે ગામના ભમરીયા કૂવામાં રોટલો પધરાવવામાં આવે છે. કૂવામાં પડેલા રોટલાની દિશા પરથી વરસાદ કેવો રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે.

આ વખતે રોટલો કૂવાની વચ્ચોવચ પડી ઈશાન ખુણા તરફ ગયો હતો. જે અતિ શુભ સંકેત હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ વર્ષે ચોમાસુ 14 થી 16 આની રહેશે. એટલે કે મોડું વાવેતર થતા પાછોતરા સમયે વરસાદ સારો રહેશે અને મબલખ પાક ઉતરશે તેમ ગ્રામજનોએ આશા સેવી હતી. દર વર્ષે અષાઢના પ્રથમ સોમવારે સમસ્ત ગ્રામના લોકો એકત્ર થઈ આ પરાંપરાને આખરી ઓપ આપે છે. આ વિધિ પૂર્વે મંદિરની પુજા કરી ધ્વજા ચઢાવવામાં આવે છે. સદીઓ પુર્વે ખેતે ભાત લઇને રહેતી એક મહિલાના હાથમાંથી ચોકકસ શખ્સે રોટલો ઝૂટવી લીધો હતો. જેને લઇને ગામ ઉપર આફત આવી હતી. આફત નિવારણ થઈ ત્યારથી આ વિધી દર વર્ષે ચાલી આવતી હોવાનું ગ્રામજનો જણાવે છે.

- Advertisement -

કઇ દિશામાં રોટલો પડે તો સારું વર્ષ જાય ? તેની વાત કરવામાં આવે તો કૂવામાં પધરાવેલો રોટલો જો પૂર્વ અને ઈશાન દિશામાં પડે તો સારો વરસાદ થાય અને પશ્રિમ દિશામાં પડે તો ઓછા વરસાદ કે દુષ્કાળની સ્થિતિનું અનુમાન કરવામાં આવે છે. દર વર્ષે માન્યતા સાચી પડતી હોવાની ગ્રામજનોની શ્રધ્ધા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular