Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરએડવોકેટ હારૂન પલેજાના નાશી રહેલા હત્યારાઓને તાત્કાલિક ઝડપી લેવાશે : એસપી

એડવોકેટ હારૂન પલેજાના નાશી રહેલા હત્યારાઓને તાત્કાલિક ઝડપી લેવાશે : એસપી

બે કિશોર સહિત ચાર હત્યારાઓની ધરપકડ : રિમાન્ડની તજવીજ : બે સપ્તાહ દરમિયાન કુલ આઠ આરોપી ઝડપાયા: નાસતા ફરતા હત્યારાઓને પણ દબોચી લેવાશે

- Advertisement -

જામનગર શહેરના બેડી વિસ્તારમાં બે સપ્તાહ પૂર્વે સાંજના સમયે રોજુ છોડવા જઈ રહેલા એડવોકેટ હારૂન પલેજાને 15 જેટલા શખ્સોએ આંતરીને પથ્થરમારો કરી પછાડી દઇ સશસ્ત્ર હથિયારો વડે જીવલેણ હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા એડવોકેટને સારવાર માટે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. સરાજાહેર એડવોકેટની હત્યાના બનાવથી શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અગાઉ પણ ટાઉન હોલ જેવા ભરચક વિસ્તારમાં એડવોકેટ કિરીટ જોશીની છરીના આડેધડ ઘા ઝીકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ બેડીમાં વધુ એક એડવોકેટની હત્યાથી હાલારવાસીઓમાં ભય ફેલાઈ ગયો હતો. હત્યાના બનાવમાં પોલીસે મૃતક એડવોકેટના ભત્રીજા નુરમામદ પલેજાના નિવેદનના આધારે બસીર જુસબ સાયચા, ઈમરાન નુરમામદ સાયચા, રમઝાન સલીમ સાયચા, સીકંદર નુરમામદ સાયચા, રીઝવાન ઉર્ફે ભુરો અસગર સાયચા, જાબીર મહેબુબ સાયચા, દિલાવર હુશેન કકલ, સુલેમાન હુશેન કકલ, ગુલામ જુસબ સાયચા, એઝાજ ઉમર સાયચા, અસગર જુસબ સાયચા, મહેબુબ જુસબ સાયચા, રજાક ઉર્ફે સોપારી, ઉમર ઓસમાણ ચમડિયા અને શબીર ઓસમાણ ચમડિયા સહિતના 15 શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

સરાજાહેર એડવોકેટની હત્યાના પડઘા સમગ્ર રાજ્યમાં પડયા હતાં. જેમાં જામનગર સહિતના અનેક શહેરોના બાર એસોસિએશનના એક દિવસ અદાલતી કાર્યવાહીથી દૂર રહી વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ત્યારબાદ એડવોકેટની સુરક્ષા માટે રિવોલ્વરના લાયસન્સ આપવા માંગણી પણ કરવામાં આવી હતી. હત્યાની ઘટનાથી હચમચી ઉઠેલા જામનગરમાં પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એચ.પી. ઝાલા તથા સિટી એ પીઆઈ એન.એ. ચાવડા, એલસીબી-એસઓજી સહિતના સ્ટાફે હત્યારાઓને ઝડપી લેવા જુદી જુદી ટીમો બનાવી તપાસ આરંભી હતી. દરમિયાન પોલીસ અધિક્ષક દ્વારા ડીવાયએસપી જે એન ઝાલાના નેજા હેઠળ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. જેમાં પોલીસ ઈન્સ્પેકટર એન.એ. ચાવડા તથા સ્ટાફ સહિતના સાત વ્યક્તિઓની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદ ટીમ દ્વારા એક પછી એક હત્યારાઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતાં. જેમાં સૌ પ્રથમ બસીર જુસબ હાજી સાયચાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈમરાન નુરમામદ હાજી સાયચા, સિકંદર ઉર્ફે સિકલો નુરમામદ હાજી સાયચા, રમજાન સલીમ જુસબ સાયચા, દિલાવર હુશેન સુલેમાન કકલ અને સુલેમાન હુશેન સુલેમાન કકલ નામના છ હત્યારાઓને દબોચી લેવામાં આવ્યા હતાં. તેમજ તેની સાથે બે કિશોરને દબોચી લેવામાં આવ્યા હતાં. આમ પોલીસે બે સપ્તાહ દરમિયાન આઠ હત્યારાઓને ઝડપી લઇ બાકી નાશી રહેલા અન્ય સાત હત્યારાઓની શોધખોળ માટે તપાસનો ધમધમાટ વધુ તેજ કરી દેવામાં આવ્યો હતો.

બુધવારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં એડવોકેટ હારૂન પલેજાના આઠ હત્યારાઓની ધરપકડ અંગે વિગતો આપવામાં આવી હતી. તેમજ બાકીના નાશી રહેલા અન્ય સાત હત્યારાઓને ગણતરીના દિવસોમાં જ દબોચી લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર વી એમ લગારીયા, એસઓજી પોલીસ ઈન્સ્પેકટર બી.એન. ચૌધરી, પીએસઆઈ આર.એમ.કરમટા, એલ.એમ. જેર તેમજ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પીએસઆઈ કે.ડી. જાડેજા સહિતની જુદી જુદી ત્રણ ટીમો દ્વારા બાકીના હત્યારાઓને ઝડપી લેવા તપાસ ચાલુ છે. ઉપરાંત ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ ઉપર 17 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું તેમજ શિક્ષિકા આત્મહત્યા પ્રકરણમાં મૃતક એડવોકેટ હારૂન પલેજાને ધમકી આપી હતી અને ત્યારબાદ એડવોકેટની હત્યા માટે રેકી કરી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે હત્યા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular