જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના ખંભાળિયા ગેઈટ પોલીસ ચોકી, એસટી રોડ, રણજીતસાગર રોડ સહિતના વિસ્તારોમાંથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાંથી રેંકડી – કેબિનો સહિતના દબાણો જપ્ત કરવામાં આવ્યા હતાં.

એસ્ટેટ શાખા દ્વારા છેલ્લાં લગભગ એકાદ માસથી શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના દરબારગઢ, પીએન માર્ગ, બર્ધન ચોક, એસ.ટી. રોડ, રણજીતસાગર રોડ, ઓશવાળ હોસ્પિટલ સામે, ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ ઝૂંબેશ ચાલી રહી છે. કેટલાંક વિસ્તારોમાં બે થી ત્રણ વખત દબાણ હટાવવા તંત્ર મજબુર થઈ રહ્યું છે. ઓશવાળ હોસ્પિટલ સામે થોડા દિવસો પહેલાં જ દબાણો દૂર કરવામાં આવ્યા હતાં ત્યારે ફરી વખત દબાણો થઈ જતાં ગઈકાલે એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ફરી એક વખત દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી હતી. ખંભાળિયા ગેઈટ પ્લોટ પોલીસ ચોકી, એસટી રોડ ઉપર દુકાનોની બહાર કરાયેલી દબાણો હટાવવામાં આવ્યા હતાં. એસ્ટેટ શાખા દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓની દબાણરૂપ રેંકડીઓ, કેબિનો, ટેબલ ખુરશીઓ સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખા દ્વારા આ કામગીરી રવિવારે રજાના દિવસોમાં પણ કરવામાં આવી રહી છે.


