જામનગર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં અપમૃત્યુના બે બનાવ બનવા પામ્યા છે. જેમાં ખીલોસ ગામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નિપજયું છે. જ્યારે સચાણાના માછીમાર ડૂબી જવાથી મોત નિપજયું હતું.
અકસ્માતના પ્રથમ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ખિલોસ ગામમાં રહેતા સાગરભાઇ આણંદભાઇ ચૌહાણ (ઉ.વ. 28) નામના યુવાને તા. 2 મેના રોજ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેણે સારવાર દરમિયાન તા. 20ના રોજ સારવાર કારગત નહીં નિવડતા દમ તોડયો હતો. આ અંગે મૃતકના ભાઇ પ્રવીણભાઇએ પંચકોષી ‘એ’ ડિવિઝનમાં જાણ કરતા એએસઆઇ ડી. એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ ખાતે જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા 34 વર્ષીય માછીમાર જાફર રજાક કક્કલ મંગળવારના સાંજે દરિયામાં માછીમારી કરતી વખતે માછીમારીની જાળમાં ફસાઇ જવાથી પાણીમાં ડૂબી જતાં મોત થયું હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. આ બનાવ અંગે આબિદ કકકલ દ્વારા બેડી મરીન પોલીસને જાણ કરતા એએસઆઇ કે. કે. માંધણ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.


