ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રસીકરણની પ્રક્રિયા ચાલી રહી છે. જુનના અંત સુધીમાં રાજ્યમાં કુલ રસીકરણ 2.56 કરોડ થયું છે. 2 કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે,જ્યારે 56 લાખ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો છે. જામનગરની વાત કરવામાં આવે તો શહેરમાં 18 વર્ષથી ઉપરના 4,50,000 લોકો છે. જે પૈકી અત્યાર સુધીમાં 59% લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. જયારે 14% લોકોને વેક્સીનના બન્ને ડોઝ આપવામાં આવ્યો છે. જામનગરમાં રસીકરણની પ્રક્રિયા ધીમી થઇ રહી છે. જો કોઈ પણ વિસ્તારની વસ્તીના 70% હિસ્સાને વેક્સિનેટેડ કરી દેવામાં આવે તો હર્ડ ઈમ્યુનિટી વિકસિત થાય છે. ત્યારે જામનગર આ મામલે 11% દુર છે.
જામનગરમાં કુલ અંદાજીત વસ્તી 6.5લાખ છે જે પૈકી 18 વર્ષની કુલ અંદાજીત વસ્તી 4,50,000 છે. માટે આ તમામ લોકો વેક્સિન લેવા યોગ્ય છે. જામનગરમાં 1 જુલાઈ 2021 સુધી રસીકરણના આંકડાની વાત કરવામાં આવે તો કુલ 3,26,694 ડોઝ આપવામાં આવ્યા છે. જે પૈકી 264994 લોકોએ વેક્સીનનો પ્રથમ અને 61700 લોકોને રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે.એટલે કે કુલ 59% રસીકરણ થયું છે. જેની સામે 14% લોકોએ બન્ને ડોઝ લઇ લીધા છે.
જામનગરમાં જુલાઈના અંત સુધીમાં આવી જશે હર્ડ ઈમ્યુનિટી
જામનગરમાં 4,50,000 લોકોમાંથી જો 70% વસ્તીને વેક્સિન આપવામાં આવે તો હર્ડ ઈમ્યુનિટી આવે. અત્યાર સુધી 59% લોકોએ વેક્સીન લીધી છે. શહેરમાં વેક્સીનની ઉપલબ્ધતા મુજબ સરેરાશ 2000 લોકોને વેક્સીન અપાઈ રહી છે. હજુ 50000 લોકો વેક્સીન લઇ લે તો 70% વેક્સિનેશન પૂર્ણ થાય અને હર્ડ ઈમ્યુનિટી આવી જાય. જો રોજે 5000 લોકોને વેક્સીન આપવામાં આવે તો આ કાર્ય માત્ર 10 જ દિવસમાં થઇ શકે. પરંતુ વેક્સીનના અભાવના લીધે રસીકરણની મંદ ગતિના પરિણામે હજુ 50હજાર લોકોને વેક્સીન આપતા 1 મહિનાનો સમય લાગશે. 185006 લોકોને વેક્સીન આપવાની બાકી છે.100% વેક્સિનેશન થવાને 3 મહિનાથી વધુ સમય નીકળી જશે.
અંતે ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે અગામી તૈયારીઓ કરી રહી છે. પરંતુ જો વેક્સિનેશનની પ્રક્રિયા પર વધુ ભાર મુકવામાં આવે તો રાજ્યમાં હર્ડ ઈમ્યુનિટી આવી જાય અને કોરોનાના સંક્રમણથી બચી શકાય.
બીજી તરફ દુનિયાના કેટલાક દેશોમાં કોરોના રસીકરણ મુદ્દે ઉદાસીનતા જોવા મળી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા ના વડા ડો. ટેડ્રોસ અધનોમ ઘેબ્રિયસસે વિશ્વના દેશોને કુલ વસ્તીના ઓછામાં ઓછા 10 ટકા લોકોનું સપ્ટેમ્બર સુધીમાં રસીકરણ કરવા અપીલ કરી છે. અને ચાલુ વર્ષના અંત સુધીમાં 40 ટકા તેમજ આગામી વર્ષના મધ્ય ભાગ સુધીમાં 70 ટકા રસીકરણ કરવું જોઈએ.તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે આપણે તમામ જગ્યાએ કોરોના મહામારીનો અંત નહીં લાવીએ તો ક્યાંય પણ તેનો અંત આવશે નહીં.