જામનગર શહેરની આયુર્વેદ હોસ્પિટલમાં મજૂરી કામ કરતા યુવકને વીજશોક લાગતા સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. જામનગર તાલુકાના સીક્કા ગામમાં માછીમાર યુવાનનું કોઇ કારણસર પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિતગ મુજબ, પ્રથમ બનાવ મધ્યપ્રદેશના અલીરાજપૂરના આંબા ફળિયાનો વતની અને હાલ જામનગરમાં ત્રિમંદિર પાસેના વિસ્તારમાં રહેતો જંગલીયા ઉર્ફે જગો નુરુ ડાવર (ઉ.વ.19) નામનો યુવક મજૂરી કામ કરતો હતો તે દરમિયાન બુધવારે બપોરના સમયે આયુર્વેદ હોસ્પિટલમાં વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જવાથી સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે જયેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. વાઘેલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં નાગાણી સરમત વિસ્તારમાં રહેતા જુસબભાઈ અબ્દુલભાઈ રેલીયા નામના માછીમાર યુવાન બુધવારે સાંજના સમયે મુંગણી ગામમાં થર્મલ પાવર પ્લાન્ટની બાજુમાં માછીમારી કરવા ગયા હતાં તે દરમિયાન કોઇ કારણસર પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની ઓસમાણભા દ્વારા જાણ કરાતા હેકો સી.ટી. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.