જોડિયા તાલુકાના બાલંભા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતાં પરિવારની તરૂણવયની દિવ્યાંગ પુત્રીએ લોખંડના એંગલમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના માતવા ગામના વતની અને હાલ જોડિયા તાલુકાના બાલંભા ગામની સીમમાં આવેલી અમૃતલાલ ચૌહાણની વાડીમાં ખેતમજૂરી કરતાં નરેશભાઇ ટીડિયાભાઇ નિનામા નામના યુવાનની પુત્રી મેઘનાબેન નરેશભાઇ નિનામા (ઉ.વ.15) નામની તરૂણી માનસિક બિમાર હોય અને તેણીને કંઇ ખબર પડતી ન હતી. દરમ્યાન દિવ્યાંગ બાળકીએ ગુરૂવારે સવારના સમયે વાડીમાં આવેલા મકાનના ઉપલા માળે જઇ લોખંડના એંગલમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તરૂણીને બેશુદ્ધ હાલતમાં જોડિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા એએસઆઇ સી. એલ. ચિહ્ના તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


