આદિત્યાણાના પ્રેમલગ્ન કરેલા દંપતિ વચ્ચે મનમેળ ન હોય છૂટાછેડાની વાત ચાલતી હતી. તે દરમ્યાન મનમાં લાગ આવતાં યુવાનએ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે પોતાના નાનાજીના મકાનમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી હતી. પોલીસે આ બનાવની તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાના બનાવની વિગત મુજબ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામના રહીશ એવા ચેતનભાઈ અનિલભાઈ પાંડાવદરાએ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્નજીવન દરમિયાન આ પતિ-પત્ની વચ્ચે મનમેળ થતો ન હતો. જેથી આ બંનેના છૂટાછેડાની વાત ચાલી રહી હતી. આ વચ્ચે ચેતનભાઈને મનમાં લાગી આવતા તેમણે અત્રે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા નાનાજીના રહેણાંક મકાને પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવારઅર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ હિતેશભાઈએ જાણ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તજવીજ હાથ ધરી હતી.


