ધંધુકામાં થયેલ હિન્દુ યુવાનની હત્યાના કાવતરામાં જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા યુવાનની હત્યાનું કાવતરુ પણ મુસ્લિમ ગેંગ દ્વારા થયેલ હોય, યુવાન દ્વારા તાત્કાલિક રક્ષણ આપવાની માગ સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

તાજેતરમાં જ ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી હતી. ત્યારે જામનગરમાં શંકટેકરી, સુભાષપરા શેરી નં. 1, આર.સી.ના પગથિયા પાસે રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ રાઠોડની હત્યાનું કાવતરું મુસ્લિમ ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોય, રક્ષણ આપવાની માગ કરવામાં આવી છે. જેમાં ગૃહરાજ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, જામનગર શંકરટેકરીમાં મુસ્લિમ ગેંગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હોય, આ અંગે અરજદાર પૃથ્વીરાજસિંહ દ્વારા ગૃહરાજ્યમંત્રી, પ્રધાનમંત્રી તેમજ જામનગર પોલીસને આવેદનપત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવી છે. મુસ્લિમ ગેંગના ત્રાસથી હિન્દુ પરિવાર પોતાનું મકાન છોડી અથવા સસ્તાભાવે પોતાના મકાનો મુસ્લિમ ગેંગને સોંપી હિઝરત કરી ગયા છે. તેમજ મકાનોમાં બહારગામથી પણ મુસ્લિમ સમાજના લોકો દ્વારા પગપેસારો કરવામાં આવતો હોય, જે અંગે અરજદાર દ્વારા વિરોધ કરી રજૂઆતો કરી હોય. આ ગેંગના સભ્યો દ્વારા અરજદારનું ખૂન કરવા સોપારી અપાઇ હોવાની સંભાવના પણ આ અરજીમાં દર્શાવાઇ છે.
જેમાં પૂર્વ કોંગ્રેસી કોર્પોરેટર સહિત 18 જેટલા શખ્સોના નામ સાથે આ અરજીમાં રજૂઆત કરવામાં આવી છે અને રક્ષણ આપવા માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત જો અરજદારની હત્યા થાય તો અરજીમાં દર્શાવેલ 18 લોકો જવાબદાર હોવાનું પણ જણાવાયું છે.