જામનગર તાલુકાના લાવડિયા ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતો યુવાન તેની બાઇક પર આશાપુરા સર્કલથી દરેડ ગામ તરફ જતો હતો ત્યારે રાત્રિના સમયે અચાનક રોડ પર કૂતરું આડું ઉતરતાં બાઇક સ્લીપ થવાથી ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના લાવડિયા ગામમાં રહેતાં ઘનશ્યાભાઇ જાનકીદાસ ગોંડલિયા (ઉ.વ.47) નામના મજૂરીકામ કરતો યુવાન ગત્ તા. 11ના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં આશાપુરા સર્કલથી આગળ દરેડ ગામ તરફ તેના જીજે10-ડીએફ-2363 નંબરના બાઇક ઉપર જતો હતો ત્યારે અચાનક બાઇક આડે કૂતરું ઉતરતા ગાડી ઉપરનો કાબૂ ગૂમાવી દેતાં બાઇક સ્લીપ થયું હતું. રોડ પર પટકાયેલા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને 108 એમ્બ્યુલન્સ મારફતે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્રી હંસાબેન દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ. એમ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


