જામનગરમાં રહેતી પરિણીત યુવતીને અન્ય યુવાન સાથે પ્રેમ થઈ જતા પ્રેમી સાથે મળીને પતિની હત્યા નિપજાવવાનું કાવતરુ રચી વીજરખી ડેમ નજીક પ્રેમી સાથે કારની ઠોકર મારી હત્યા નિપજાવ્યાના બનાવમાં પોલીસે મૃતકની પત્ની અને તેણીના પ્રેમી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ દરમિયાન મૃતકની પત્ની અને તેણીના પ્રેમીની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.

ઠંડાકલેજે હત્યા નિપજાવ્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં રવિ ધીરજલાલ મારકણા નામના યુવાનની પત્ની રીંન્કલ રવિ મારકણા નામની પરિણીતાને અક્ષય છગન ડાંગરીયા નામના યુવાન સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ પ્રેમના કારણે રીંન્કલ તેણીના પતિ રવિ સાથે અવાર-નવાર ઝઘડો કરતી હતી. રીંન્કલએ અક્ષયને પામવા માટે પતિ સાથે ઘરકંકાસ કરતી હતી અને પ્રેમી સાથે મળીને પતિનું ઠંડાકલેજે કાસડ કાઢી નાખવા પૂર્વ આયોજિત કાવતરુ રચ્યું હતું. દરમિયાન રવિવારે સાંજના સમયે રવિ મારકણા તેના જીજે-27-ડીજે-9310 નંબરના બુલેટ મોટરસાઈકલ પર કાલાવડ ગયો હતો આ બાબતની તેની પત્ની રિંન્કલને જાણ હતી. જેથી રિંન્કલનો પ્રેમી અક્ષય તેની જીજે-20-એકયુ-8262 નંબરની જીપ કમ્પાસમાં રવિનો પીછો કરતો હતો. ત્યારબાદ રવિ સાંજના સમયે કાલાવડથી જામનગર તેના ઘરે જવા માટે પરત આવી રહ્યો હતો ત્યારે અક્ષય પણ કારમાં તેનો પીછો કરી રહ્યો હતો.
દરમિયાન રવિ ધીરજલાલ મારકણા (ઉ.વ.30) નામનો યુવાન તેના બુલેટ મોટરસાઈકલ જામનગર નજીક આવેલા વિજરખી ડેમ પાસે સાંજના પોણા પાંચ વાગ્યાના અરસામાં પહોંચ્યો ત્યારે કાલાવડથી પીછો કરીને આવી રહેલા અક્ષય છગન ડાંગરીયાએ તેની જીપ કમ્પાસ કાર વડે બુલેટ મોટરસાઈકલને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા રવિ મારકણાને શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની મૃતકના પિતા ધીરજલાલ ઉર્ફે મેતાજી મોહનલાલ મારકણા દ્વારા જાણ કરાતા પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફે અક્ષય છગન ડાંગરીયા અને મૃતકની પત્ની રિંન્કલ રવિ મારકણા નામના બન્ને વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધી પોલીસે મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરી પૂછપરછ આરંભી હતી.
મૃતક યુવાનની પત્નિએ પ્રેમીને પામવા માટે પૂર્વ આયોજિત કાવતરુ રચી જીવનસાથી એવા પતિની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરી અકસ્માતથી મોત નિપજાવ્યાનું કાવતરુ રચ્યુ હતું. પરંતુ, આ સમગ્ર પ્રકરણની મૃતકના પિતાને અંદેશો હોવાથી તેણે પોલીસમાં તેની પુત્રવધૂ રિંન્કલ અને તેના પ્રેમી અક્ષય વિરૂધ્ધ કાવતરુ રચી હત્યા નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી. કળિયુગમાં લગ્ન પછીના અફેરોની સંખ્યા દિવસને દિવસે વધતી જાય છે અને પ્રેમી સાથે મળીને પતિની કે પત્નીની હત્યા નિપજાવવાની ઘટનાઓ દેશભરમાં બની રહી છે. હાલમાં જ પત્નિએ પતિની હત્યા નિપજાવી કટકા કરી ડ્રમમાં નાખી દીધા હોવાના કિસ્સાએ દેશભરમાં ફિટકારી વરસાવી હતી.