ભાણવડ તાબેના સણખલા ગામે રાત્રિના સમયે બે નંદી બાખડયા હતા. ત્યારે બંને નંદીઓ વચ્ચે લાંબા સમયના યુધ્ધ બાદ એક નંદી બેલેન્સ ગુમાવતા આશરે 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો હતો.
આના અનુસંધાને ગ્રામજનોએ નંદીને બચાવવાના આશયથી તેને બહાર કાઢવા માટે ગામના સરપંચને જાણ કરતા તેમના દ્વારા તાત્કાલિક ભાણવડમાં અબોલ જીવોને સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટને માહિતગાર કર્યા હતા.
આથી મોડી રાત્રિના સમયે પણ વિલંબ કર્યા વગર એનિમલ લવર્સના સભ્યો તુરંત આ સ્થળે દોડી ગયા હતા અને અત્યાધુનિક હાઇડ્રોલિક એનિમલ એમ્બ્યુલન્સની મદદથી આ નંદીને લાંબી જહેમત બાદ સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો.
આ નંદીને સીતેર ફૂટ ઊંડા કૂવામાં પડવા છતાં પણ સદનસીબે કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. જેથી બહાર નીકળતા જ તે રસ્તે વિચરતો થયો હતો.
આ નંદીના બચાવ કાર્યમાં એનિમલ લવર્સ ગ્રુપના અરજણ મોરી, મેરામણ ભરવાડ, અનિલ પરમાર, વિશાલ ભરવાડ, અક્ષય સૂચક સાથે ગ્રામજનો પણ જોડાયા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં દેવાભાઈ કોળીની જહેમત પણ નોંધપાત્ર બની રહી હતી.


