જામનગરમાં શાકભાજીના ધંધાર્થી પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની એક શખ્સ વિરૂઘ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. તેમજ વંડા ફળીમાં રહેતાં યુવાન પાસે પણ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા બન્ને ગુનાઓમાં વધુ તપાસ હાથ ધરાઇ છે.
આ બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગરમાં રણજિતસાગર રોડ નજીક ભાનુ પેટ્રોલ પંપ પાછળ રહેતા અને શાકભાજીનો ધંધો કરતાં જીજ્ઞેશભાઇ મગનભાઇ ખાણધરએ મારૂ કંસારા હોલ પાછળ રહેતાં અશોકભાઇ મૂળજીભાઇ નંદા નામના શખ્સ પાસેથી પ્રથમ વખત રૂા. 70 હજાર 10%ના વ્યાજે લીધા હતા. તેના બદલે ફરિયાદીએ સમયાંતરે ગૂગલ પેથી કટકે કટકે રૂા. 7 લાખ ચુકવ્યા હતા. તેમજ જ્યારે જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે રૂા. 3 લાખ પ0 હજાર વ્યાજે લીધા હોય આમ છતાં આરોપી દ્વારા વધુમાં વધુ રકમ લેતાં ડાયરી બનાવી રૂા. 35 થી 40 લાખ વસૂલી લીધા હતા. તેમ છતાં રૂપિયાની ઉઘરાણી કરતા સિટી ‘એ’ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદી શાળાએ છોકરીઓને મૂકવા જતા હોય ત્યારે અને શાકબકાલુ વેચતા હોય ત્યારે ફરિયાદીને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી હતી. તેમજ રૂપિયા નહીં આપે તો એકાંતમાં મળીશ ત્યારે જાનથી પતાવી દેવાની ધાકધમકીઓ આપી હતી. આ અંગે ફરિયાદી દ્વારા અશોક મૂળજી નંદા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બીજો બનાવ જામનગરમાં વંડા ફળીમાં રહેતાં ફરિયાદી કુલદીપભાઇ હરિશભાઇ પંડયાના મોટાભાઇ બ્રિજેશ પંડયાએ પોતાના ધંધા માટે જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન રોડ પાસે રહેતાં પ્રદ્યુમનસિંહ ભગવતસિંહ જાડેજા પાસેથી રૂા. 4 લાખ પાંચ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેના બદલામાં ફરિયાદી અને તેના ભાઇએ રૂા. 3,25,000 ચુકવી આપ્યા હોય તેમ છતાં રૂા. 75 હજારની રોકડ અને ચેક રીટર્નના રૂા. 2,60,000 મળી કુલ રૂા. 3,35,000ની વ્યાજની માંગણી કરી બેન્ક ચેકમાં ખોટી રકમ ભરી ચેક રીટર્નનો કેસ કરી ફરિયાદી પાસેથી પઠાણી ઉઘરાણી અને સતામણી કરી મુદલમાંથી કપાત કરી ઉંચાદરે વ્યાજ લઇ બદલામાં ચેક મેળવી ચેકમાં ખોટી રકમ ભરી મુદ્લ કરતાં વધુ નાણા પડાવી વધુ નાણાની માંગણી કર્યાની પ્રદ્યુમનસિંહ ભગવતસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.


