ખંભાળિયા તથા ઓખામાં હૃદયરોગના કારણે બે વ્યક્તિઓના મોત નિપજયાના વાવડ સાંપડયા છે. ખંભાળિયાના કુવાડિયા ગામમાં એક યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હતો. જ્યારે ઓખાના આર.કે. બંદરમાં માછીમારી કરતાં વૃદ્ધને હૃદયરોગનો કાતિલ હુમલો આવતા તેમનું મોત નિપજયું હતું.

હૃદયરોગના હુમલાની વિગત મુજબ પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આવેલા હૃદયરોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની લાલપુર તાલુકાના પડાણા ગામના ધીરજભાઈ ભીખાભાઈ ઓડીચએ જાણ કરતાં પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહ આરંભી હતી.
બીજો બનાવ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ દીવ તાલુકાના એવા મણિલાલ ગોપાલભાઈ હળપતિ (ઉ.વ. 54) ને ફિશિંગ બોટમાં જમીને સુતા બાદ કોઈપણ સમયે તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ થયું હતું. જે અંગે મહેન્દ્રભાઈ ટંડેલએ જાણ કરતાં ઓખા મરીન પોલીસેઆગળની કાર્યવાહી હાથ ધરી છે.


