જામનગર શહેર તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યાં હતાં. તેમજ હાલમાં જ પંચકોષી ‘બી’ ડિવિઝનમાં થયેલી બાઇકચોરીના ગુનામાં પોલીસે ટાબરિયા સહિત બે શખ્સોને ઝડપી લઇ બે ચોરાઉ બાઇક કબ્જે કરી પૂછપરછ દરમ્યાન સંતાડેલા વધુ 6 બાઇક કબ્જે કર્યા હતા.

આ બાઇકચોરીની વિગત મુજબ જામનગરના પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે બાઇકચોરીની ફરિયાદ સંદર્ભે એએસઆઇ શૈલેન્દ્રસિંહ જાડેજા, પો.કો. જયપાલસિંહ જાડેજાને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ વી. જે. રાઠોડ, એએસઆઇ શૈલેન્દ્રસિંહ જાડેજા, ડી. જી. ઝાલા, ડી. બી. જોગિયા, હે.કો. પ્રદીપસિંહ જાડેજા, પો.કો. જયદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી દરેડ આશાપુરા માતાજીના મંદિર નજીક આવેલા અન્ય સર્કલ પાસે ચોરાઉ બાઇક સગેવગે કરી વેંચવાની પેરવીમાં રહેલાં વિમલ વિક્રમ પરમાર (ઉ.વ.19) (રહે. મારવાડીવાસ, ચેલા, જામનગર) અને એક સગીર સહિત બન્ને શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી શક પડતી મિલ્કત તરીકે જીજે10 બીએન 6980, જીજે03 ઇએચ 0096 નંબરના બે બાઇક કબ્જે કર્યા હતા.
પોલીસે આ બન્ને તસ્કરની વધુ પુછપરછ હાથ ધરતાં તેમની સાથે મેહુલ નરસી સોલંકી (પ્રદર્શન મેદાન, જામનગર), કાલીદાસ નરસી સોલંકી (રહે. પ્રદર્શન મેદાન, જામનગર), દીપક મારવાડી સહિતના શખ્સો સાથે બાઇક ચોરીઓ આચરતા હોવાની કેફિયત આપી હતી. તેમજ આ ટોળકીએ ઝડપાયેલી બે સહિતની કુલ આઠ બાઇકચોરી આચરી હતી. જેમાં પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી બે બાઇક અને પડધરી તાલુકાના રંગપર પાટિયા પાસેથી જીજે15 ઇઇ 4514 નંબરનું બાઇક તથા નંબરપ્લેટ વગરનું એક બાઇક તેમજ દ્વારકામાંથી જીજે11 એએ 0064 નંબરનું બાઇક અને નંબર પ્લેટ વગરનું બ્લેક કલરના ત્રણ ચોરાઉ બાઇક સહિતના કુલ આઠ ચોરાઉ બાઇક કબ્જે કરી બાઇકચોરી આચરતી ગેંગના અન્ય ત્રણ તસ્કરોને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.


