સમગ્ર દેશમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્તપણે એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજારથી વધુ જામનગરવાસીઓ ઉમંગભેર જોડાયા હતા.
આ વર્ષની થીમ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. યાત્રાનો પ્રારંભ સવારે 8:00 વાગ્યે રણમલ તળાવના ગેટ નં. 1 થી થયો હતો, જેમાં પોલીસ અશ્વદળ, પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ, અને નેવીના જવાનો સાથે શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા.આ યાત્રા રણમલ તળાવથી શ્યામજી કૃષ્ણ વર્મા સ્ટેચ્યુ અને મયુર મેડિકલ થઈને રણજીતનગર ખાતેની સરદાર પટેલની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી. અહીં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ સાફ-સફાઈ કરવામાં આવી.
તિરંગા યાત્રામાં પોલીસ અશ્વ દળ, પોલીસ બેન્ડ, આર્મી, એરફોર્સ, નેવી, શિક્ષણ વિભાગના પ્લાટુન જોડાયા હતા.જ્યારે યાત્રાની સાથે સાથે યોજવામાં આવેલ મણિયારો રાસ તથા પ્રાચીન અર્વાચીન ગરબા સહિતની સાંસ્કૃતિક કૃતિઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
આ ભવ્ય તિરંગા યાત્રામાં કાર્યક્રમના અધ્યક્ષ અને ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, ધારાસભ્ય રિવાબા જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરષોત્તમભાઈ કકનાણી, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, નાયબ મ્યુનીસીપલ કમિશ્નર ઝાલા, કોર્પોરેટરઓ, પ્રાંત અધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


