Saturday, October 19, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં વેપારીને લૂંટી લેનાર ત્રણ લૂંટારાઓની ધરપકડ

ખંભાળિયામાં વેપારીને લૂંટી લેનાર ત્રણ લૂંટારાઓની ધરપકડ

પોલીસ સ્ટેશનથી થોડે દૂર બનેલી લુંટની ઘટનાથી લોકોમાં ફફડાટ : લૂંટાયેલી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે : પોલીસ દ્વારા તાકીદે કાર્યવાહી

- Advertisement -

ખંભાળિયામાં રહેતા એક જાણીતા વેપારી ગુરુવારે પોતાની દુકાનેથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે તેમના ઘરે પહોંચે તે પહેલા જ નજીકમાં બે શખ્સોએ તેમને પછાડી દીધા બાદ તેમની પાસે રહેલી રોકડ રકમ સાથેની થેલી લૂંટીને નાસી ગયાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર બનેલા આ બનાવથી શહેરભરમાં ભારે ચર્ચા મચી જવા પામી હતી. આ પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

- Advertisement -

આ ચમચારી પ્રકરણની વિગત મુજબ ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહેતા અને અહીંના જોધપુર ગેઈટ પાસે દુકાન ધરાવતા જાણીતા વેપારી અશોકભાઈ થાવરદાસ ગોકાણી (અશોકભાઈ નેતા) નામના વેપારી ગુરુવારે રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયે તેમની દુકાનેથી તેમનાથી એક્ટિવા મોટરસાયકલ પર બેસીને ઘરે જઈ રહ્યા હતા.

તેઓ પોલીસ સ્ટેશન નજીક આવેલી એસ.એન.ડી.ટી. શાળાની પાછળના ભાગે કુંભાર પાડા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એકાએક બે શખ્સો તેમની પાસે આવ્યા હતા અને પોતાનો સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી આરોપીઓએ અશોકભાઈ ગોકાણીને ધક્કો મારીને મોટરસાયકલ પરથી પછાડી દીધા હતા. અહીં અશોકભાઈ કંઈ સમજે તે પહેલા તેમની પાસે રહેલી થેલી ઝૂંટવીને નાસી ગયા હતા. આમ, બે અજાણ્યા શખ્સોએ તેમને પછાડીને ઈજાઓ કરી, રૂપિયા 73,660 ની રોકડ રકમ તેમજ દુકાનના રોજમેળ સહિતનો મુદ્દામાલ લૂંટી ગયાનો બનાવ સરકારી ચોપડે નોંધાયો હતો.

- Advertisement -

આ બનાવ બનતા અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પી.આઈ. બી.જે. રાણા તેમજ એલ.સી.બી. અને એસ.ઓ.જી. સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાસી છૂટેલા બે લૂંટારુઓનું પગેરું મેળવવા નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસવા તેમજ નાકાબંધી કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.

લૂંટારુઓને ઝડપી લેવા માટે આ વિસ્તારના જુદા જુદા સીસીટીવી ફૂટેજ તેમજ ક્રાઈમ ટ્રેક એપ્લિકેશન મારફતે ઇન્ચાર્જ પી.આઈ. રાણા, એલ.સી બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને આ લૂંટ પ્રકરણમાં સંડોવાયેલા દિનેશ ગોવિંદ ધોરીયા (ઉ.વ. 22, રહે. ભગવતી મેરેજ હોલ પાછળ), રોહિત ધરમશી ડાંગર (ઉ.વ. 23, રહે. કુંભાર પાડો) અને રાહુલ ધીરુભાઈ ચૌહાણ (ઉ.વ. 21, રહે. જૂની તાલુકા પંચાયત કચેરી પાછળ) નામના ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા. આરોપીઓ છૂટક મજૂરી કામ કરતા હોવાનું તેમજ આરોપીને દારૂ પીવાની ટેવ હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે. આ અંગેની વધુ તપાસ ખંભાળિયાના પી.એસ.આઈ. ચૌહાણ ચલાવી રહ્યા છે.

- Advertisement -

ઝડપાયેલા આ આરોપીઓ પાસેથી લૂંટનો રૂપિયા 73,660 નો મુદ્દામાલ પણ કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, ઈન્ચાર્જ પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. આર.આર ઝરુ, એમ.એચ. ચૌહાણ તેમજ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, દીપકભાઈ રાવલિયા, પ્રવીણભાઈ ગોજીયા, સજુભા જાડેજા, ખીમાભાઈ કરમુર, સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ જમોડ, દિવ્યરાજસિંહ જાડેજા, સામતભાઈ ગઢવી, સામતભાઈ સુવા, યોગરાજસિંહ ઝાલા અને અરજણભાઈ આંબલીયા દ્વારા કરવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular