Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં દોઢ માસ પૂર્વે થયેલી લૂંટ આચરનાર ત્રણ લૂંટારુઓ ઝડપાયા

ભાણવડમાં દોઢ માસ પૂર્વે થયેલી લૂંટ આચરનાર ત્રણ લૂંટારુઓ ઝડપાયા

- Advertisement -

ભાણવડ તાલુકામાં રહેતા એક આસામીને ત્યાં આજથી આશરે દોઢ માસ પૂર્વે થયેલી સોનાના દાગીનાની લૂંટ સંદર્ભે એલસીબી પોલીસે ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા. જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે, ગત તારીખ 30 જાન્યુઆરીના રોજ ભાણવડ તાલુકાના માનપર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા એક આસામીના રહેણાંક મકાનમાં દાગીના સહિતના મુદ્દામાલની લૂંટ થયાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે પોલીસે આઈપીસી કલમ 392, 457 તથા 34 મુજબ ગુનો નોંધી, આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી, આ સંદર્ભે ટેકનિકલ તેમજ હ્યુમન રીસોર્સિસના આધારે ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા, આકાશ બારસીયા તેમજ એસ.એસ. ચૌહાણ દ્વારા આવી મોડેસ ઓપરેન્ડી ધરાવતા શખ્સોની તપાસ આરંભી, આ પ્રકરણનો ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મેળવી છે.

- Advertisement -

જેમાં હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જોગલ, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, તથા અજીતભાઈ બારોટને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર તાલુકાના સિક્કા ગામના મૂળ રહીશ જાવીદ ઉર્ફે જાવલો ઈશાભાઈ હુંદડા નામનો 36 વર્ષનો મુસ્લિમ વાઘેર શખ્સ કે જે હાલ મહારાષ્ટ્રના માલેગાંવ સ્થિત દયાના રોડ ખાતે રહેતો હતો, ત્યાં જઈ અને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બની ગયેલા આ શખ્સે લૂંટનો મુદ્દામાલ કાઢી આપ્યો હતો અને તેણે લૂંટ કરી, માલેગાંવ નાસી ગયાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય બે શખ્સો એવા ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રહેતા ઈરફાન ઓસમાણ શેઠા (ઉ.વ. 30) અને હનીફ ઉર્ફે ગની ઈબ્રાહીમ નાય (ઉ.વ. 45) નામના બે શખ્સોને પણ દબોચી લેવામાં આવ્યા હતા. આટલું જ નહીં, આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામનો નવાજ જુમા દેથા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાથી પોલીસે તેને હાલ ફરાર ગણી, તેની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -

ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતનો સોનાનો વેઢલો તેમજ રૂા. 10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. ઝડપાયેલો મુખ્ય આરોપી જાવીદ ઉર્ફે જાવલો ઈશાભાઈ અગાઉ જામનગર, મોરબી, ભચાઉ, રાજકોટ, ખંભાળિયા, વાડીનાર, દ્વારકા, કલ્યાણપુર, મીઠાપુર, વિગેરે વિસ્તારોમાં ચાર ઘરફોડ ચોરી, 10 વાહન ચોરી, 4 ભંગાર ચોરી તેમજ ડીઝલ ચોરી પ્રકરણમાં સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું છે. અન્ય આરોપી ઇરફાન ઓસમાણ પણ ખૂન અને મારામારીના ગુનામાં તેમજ આરોપી ગની ઈબ્રાહીમ ઘરફોડ ચોરી તેમજ જુદા જુદા સ્થળોએ પવનચક્કીના કેબલ વાયરની ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

આ સમગ્ર પ્રકરણ એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ ઈન્ચાર્જ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી, એ.એલ. બારસીયા, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રાવાડીયા, અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, જયદેવસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ, સચિનભાઈ, ક્રીપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ, નરસિંહભાઈ, હસમુખભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular