મહારાષ્ટ્રના રાયગઢથી એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે જ્યાં માતાએ તેના 6 સગીર બાળકોને કૂવામાં ફેંકીને મારી નાખ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઘરેલુ વિવાદને કારણે મહિલાએ આ ભયાનક પગલું ભર્યું હતું. મામલો મુંબઈથી 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના ખારાવલી ગામનો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતક બાળકોમાં પાંચ છોકરીઓનો સામેલ છે. મહિલાના સાસરિયાઓએ તેની સાથે મારપીટ કરી હતી જેના કારણે તેણે ગુસ્સે થઈને તેના જ બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. અને બાળકોના મોત થયા હતા. મૃતક બાળકોની ઉંમર 18 મહિનાથી 10 વર્ષની વચ્ચે હતી.
બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. આ અગાઉ પણ આ જ પ્રકારની ઘટના મરાઠવાડા વિસ્તારમાં બની હતી. ત્યાં માતાએ પોતાના બે વર્ષના બાળકને કૂંવામાં ફેંકી દીધો હતો. ત્યારબાદ માતાએ પોતાના દિયરને ઘટના વિશે જણાવ્યું હતું. શરૂઆતમાં લોકોએ તેની વાતને નજર અંદાજ કરી, પરંતુ સાંજે બાળક ન દેખાતા લોકોએ કૂવામાં શોધ કરી, જ્યાં પુત્રની લાશ પડી હતી. લાતૂર જિલ્લાના નિલંગા પોલીસ સ્ટેશનથી મળેલી જાણકારી પ્રમાણે મહિલાનો પતિ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિ પત્નીથી 20 કિલોમીટર દૂર ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો પરંતુ તે પુત્રને મળવા આવતો હતો. એક દિવસ પતિ પોતાના પુત્રને મળવા આવ્યો તો પતિ-પત્ની વચ્ચે ફરી કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો તેથી ગુસ્સામાં મહિલાએ પુત્રને કૂંવામાં ફેંકી દીધો હતો.ણ


