ગુજરાત એટીએસ દ્વારા બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ આ તપાસમાં મોટા પ્રમાણમાં હથિયારોની ખરીદી થયાનું ખૂલ્યુ છે અને તપાસ દરમિયાન જામનગરના ત્રણ શખ્સોએ પણ આવા લાયસન્સ મેળવ્યા હોવાનું ખુલતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી હતી.

મળતી વિગત મુજબ રાજયના એટીએસ વિભાગ દ્વારા બોગસ હથિયાર-લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને આ કૌભાંડ અંતર્ગત એટીએસની ટીમે 23 શખ્સોને દબોચી લીધા હતાં અને તેમની પાસેથી 15 હથિયાર તથા 498 રાઉન્ડ કબ્જે કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી અને આ બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડમાં નાગાલેન્ડ અને મણીપુર રાજ્યમાંથી બનાવટી લાયસન્સ ઈશ્યૂ કરવામાં આવતા હતાં જેમાં ગુજરાતના અનેક શહેરોમાં લાયસન્સ દ્વારા હથિયારોની ખરીદી કરવામાં આવી હોવાનું તપાસમાં ધડાકો થયો હતો.ત્યારબાદ એટીએસ અને એસઓજીની સંયુકત ટીમે આ કૌભાંડમાં વધુ ઉંડા ઉતરી જીણવટભરી તપાસ અને પુછપરછ આરંભી હતી. તપાસ દરમિયાન જામનગરના વનરાજસિંહ પ્રવિણસિંહ વાળા, સત્યેન્દ્રસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા અને જહાંગીર યુસુફ ખફી નામના ત્રણ શખ્સોના નામ ખુલ્યા હતાં અને પોલીસ ત્રણેય શખ્સો સુધી પહોંચી તે પહેલાં જ પલાયન થઈ ગયા હતાં.
જામનગર એસઓજી દ્વારા આ બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને નાશી ગયેલા ત્રણેય શખ્સો ઝડપાયા બાદ વધુ ખુલાસા થઈ શકે તેવી શકયતાઓ રહેલી છે. તો બીજી તરફ આ બોગસ લાયસન્સ કૌભાંડમાં જામનગરના વનરાજસિંહ અને સત્યેન્દ્રસિંહ નામના બન્ને શખ્સોએ બોગસ લાયન્સ દ્વારા મેળવેલા હથિયારો સુરતની એક દુકાનમાં રીપેરીંગ કરવાના બહાને જમા કરાવી દીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેના આધારે એસઓજીની ટીમે આ ત્રણેય શખ્સો અને હથિયારો કબ્જે કરવા કમરકસી છે.