Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતજમીન સંરક્ષણ માટે સદગુરુની સંસ્થા સાથે રાજય સરકારના કરાર

જમીન સંરક્ષણ માટે સદગુરુની સંસ્થા સાથે રાજય સરકારના કરાર

સરકારના કલાઇમેન્ટ ચેન્જ વિભાગ અને ઇશા ફાઉન્ડેશન વચ્ચે મુખ્યમંત્રી અને સદગુરુની ઉપસ્થિતિમાં થયું MOU

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઇશા ફાઉન્ડેશનના સંસ્થાપક આધ્યાત્મિક ગુરૂ સદગુરૂ જગ્ગી વાસુદેવની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગ અને ઇશા આઉટરિચ વચ્ચે કલાયમેટ એક્શન-જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો’ ‘સેવ સોઇલ’ માટેના એમઓયુ અમદાવાદમાં કરવામાં આવ્યા હતા. માટી બચાવો ના આ અભિયાન માટે વિશ્વવ્યાપી જાગૃતિ કેળવવા ઇશા ફાઉન્ડેશનના સ્થાપક જગ્ગી વાસુદેવ (સદગુરૂ) 100 દિવસીય 30 હજાર કિલોમીટરની બાઇક યાત્રા પર નીકળ્યા છે. માટી બચાવોની વૈશ્ર્વિક ચળવળમાં આ એમઓયુની અભિનવ પહેલ દ્વારા સહયોગ આપનારૂં દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યુ છે. માટીમાં રહેલા અનેક સૂક્ષ્મ પોષક તત્વો કૃષિ પાકોની ગુણવત્તા માટે ખૂબ જરૂરી છે. આ સંદર્ભમાં ગુજરાતે ખેડૂતોના ખેતરની માટીના સ્વાસ્થ્ય અને ગુણવત્તા માટે ર003-04 થી ‘સોઇલ હેલ્થ કાર્ડ’ની દૂરંદેશી પહેલ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી પદ કાળ દરમ્યાનથી કરેલી છે. માટીમાં રહેલા પોષક દ્રવ્યોની માપણી માટેની 115 જેટલી સોઇલ હેલ્થ લેબોરેટરી પણ કાર્યરત છે. પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં હવે આ સોઇલ હેલ્થકાર્ડની યોજના દેશભરમાં અમલી બનાવાઇ છે.

- Advertisement -

એક અનુમાન મુજબ વિશ્વની ર4 ટકા માટી રણમાં ફેરવાઇ ગઇ છે. સંયુકત રાષ્ટ્ર એ એવી ચેતવણી પણ આપી છે કે આ જ દરે માટી લુપ્ત થતી રહેશે તો ર0પ0 એટલે કે આવનારા 3 દાયકા સુધીમાં 90 ટકા પૃથ્વી રણમાં ફેરવાઇ જઇ શકે છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારના કલાયમેટ ચેન્જ વિભાગે ઇશા ફાઉન્ડેશનના ઇશા આઉટરિચ સાથે કરેલા આ માટી બચાવો-“સેવ સોઇલ” એમઓયુ વડાપ્રધાનએ આપેલા બેક ટુ બેઝિક અને પ્રાકૃતિક ખેતીના વિચારને સાકાર કરવામાં દેશભરમાં ગુજરાતની આગવી પહેલ બન્યા છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ક્હ્યું કે, સદગુરુએ શરૂ કરેલા આ અભિયાનમાં ગુજરાત અગ્રિમ રહી યોગદાન આપી શકવા શું વધુ કરી શકે તે દિશામાં પણ આવનારા દિવસોમાં સક્રિયતા પૂર્વક આગળ વધીશું. રાજ્ય સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ઈશા આઉટરિચ વચ્ચે, ગુજરાતમાં માટી બચાવવા માટેના જુદા-જુદા પહેલરૂપ પ્રયાસો હાથ ધરવા માટે જાગૃતિ અને લોકભાગીદારી ઊભી કરવાના હેતુથી આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. માટીને રણમાં ફેરવવાથી અટકાવવા, ક્ષાર પ્રવેશ નિયંત્રિત કરવા અને વૃક્ષારોપણ તથા ચેરનાં વૃક્ષોના આવરણ થકી હરિયાળું આવરણ-ગ્રીન કવર વધારવા જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. આ એમઓયુ સાઇનીંગ અવસરે સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ કુમાર, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર, વરિષ્ઠ સચિવો અને ઇશા ફાઉન્ડેશનના સભ્યો, સદગુરૂના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular