જામનગર શહેરના રણજિતસાગર રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતા વેપારી યુવાનના બંધ મકાનના તાળાં તસ્કરોએ તોડીને અંદર પ્રવેશ કરી રૂા. 6.50 લાખની રોકડ અને દાગીના મળી કુલ રૂા. નવ લાખની માલમત્તા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતસાગર રોડ પર પટેલ પાર્ક પાછળ આવેલી વૃંદાવન સોસાયટીની શેરી નંબર એકમાં વસવાટ કરતાં તરૂણભાઇ મોહનભાઇ રાયઠઠ્ઠા નામના વેપારી યુવાનના તા. 16 ના રાત્રિથી તા. 17ના સવાર સુધી બંધ રહેલા મકાનમાં તસ્કરોએ ત્રાટકીને મુખ્ય દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. લાકડાના કબાટમાંથી રૂા. 6.50 લાખની રોકડ રકમ તેમજ તેની પત્નીનું સોનાનું મંગળસૂત્ર, ત્રણ જોડી બુટી અને ત્રણ સોનાની વિંટી તથા એક સોનાનો ચેઇન, પેન્ડલ મળી કુલ સાત તોલા રૂા. 2.52 લાખની કિંમતના સોનાના દાગીના મળી કુલ રૂા. 9,02,000 માલમત્તા ચોરી કરી ગયાના બનાવ અંગેની વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ. કે. બ્લોચ તથા સ્ટાફ દ્વારા એફએસએલ અને ગુનાશોધક શ્ર્વાનની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરવામાં આવી હતી.


