જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા કોન્ટ્રાકટર સાથે શહેરના એક શખ્સે 2.43 કરોડની રકમની છેતરપીંડી આચર્યાના બનાવમાં પોલીસે શખ્સ વિરૂઘ્ધ ગુન્હો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી. આ છેતરપીંડીમાં અનેક લોકો ભોગ બન્યા છે અને આ આંકડો હજી પણ વધી શકે તેવી શકયતાઓ રહેલી છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા આદિત્યપાર્કમાં રહેતા કોન્ટ્રાકટર અશ્વિનભાઇ વશરામભાઇ વાળા (ઉ.વ.41) નામના યુવાનની મિશા એન્ડ કંપનીના નામે કોન્ટ્રાકટરનો વ્યવસાય ચલાવે છે થોડા સમય અગાઉ યુવાનના મિત્રએ જામનગરમાં સરાના કુવા પાસે રહેતા મનશીલ હર્ષદ કોયા નામના યુવાન મનશીલ એન્ટરપ્રાઇઝના નામે સરકારી કોન્ટ્રાકટનું કામ કરતો હોવાનું જણાવી અને તેને નાણાંકીય ખેંચ હોવાનું કહીને અશ્વિન સાથે મુલાકાત કરાવી હતી. ઉપરાંત અશ્વિનના મિત્ર દેવશીએ મનશીલ કોયા 30 ટકાના નફાવાળો ધંધો કરે છે અને તેનામાં રોકાણ કરનારને 14 ટકા નફો આપે છે. અને બાકીનો પોતાની પાસે રાખે છે આમ કહી મનશીલની મુલકાત કરાવી હતી. ત્યારબાદ મનશીલે અશ્વિનને વિશ્વાસમાં લઇ તેના પરિવારજનોના જુદા જુદા નામે 21 લાખનું રોકાણ કર્યુ હતું. અને આ નાણાં થોડા સમયમાં જ પરત મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો.
ત્યારબાદ મનશીલે જુદા જુદા કોન્ટ્રાકટના નામે અશ્વિનભાઇ પાસેથી કુલ 48 લાખનું રોકાણ મેળવી લીધુ હતું. બાદમાં મનશીલે જુદા જુદા અનેક લોકો પાસેથી આ રીતે કોન્ટ્રાકટના વર્ક ઓર્ડરોના નામે 2,43,50,000 ની માતબર રકમ રોકાણના નામે પડાવી લીધી હતી. બાદમાં અશ્વિનભાઇને રોકાણ કરેલા રૂપિયા અને નફો પરત નહીં મળતા અવાર નવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરવા છતાં મનશીલનો ફોન બંધ જ આવતો હતો. મનશીલે આ કૌભાંડમાં તેમના પત્નીના બેંક એકાઉન્ટ ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. છેતરપીંડી થયાની જાણ કરાતા પીઆઇ એન.એ. ચાવડા તથા સ્ટાફે અશ્વિનભાઇ સહિતના જુદા જુદા લોકોના નિવેદનના આધારે મનશીલ વિરૂઘ્ધ 2.43 કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધી મનશીલની શોધખોળ આરંભી હતી.


