ખંભાળિયા જામનગર હાઈવે પર એસ્સાર ગ્રૂપ દ્વારા દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે પગપાળા જતા યાત્રીઓ માટે દ્વારકા પદયાત્રી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું ઉદ્ઘાટન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે વિવિધ સરકારી અધિકારીઓ, નજીકના ગામોના સરપંચો, ગ્રામજનો, એસ્સાર ગ્રૂપના અધિકારીઓ અને પદયાત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવતા પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે સ્થાનિક લોકો, સરકારી તંત્ર, વિવિધ એનજીઓ અને એસ્સાર ગ્રૂપના પ્રયત્નોની પ્રશંસા કરી હતી કે જેમણે આ સેવાયજ્ઞને જીરો વેસ્ટ મિશન હેઠળ સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ સાથે સફળ બનાવ્યો છે. આ ઉપરાંત તેમણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ખંભાળિયા નગરપાલિકાના સહયોગથી સંચાલીત એસ્સાર ગ્રૂપની વેસ્ટ કલેક્શન વાનને હરી ઝંડી આપીને તેનુ લોકાર્પણ કર્યુ, જે સ્વચ્છ ભારત મિશન તરફ એસ્સાર ગ્રૂપનું એક વધુ મહત્વપૂર્ણ પગલુ છે.
આ વર્ષે એસ્સાર ગ્રૂપે, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માર્ગદર્શન અનુસાર આ પદયાત્રી કેમ્પનું આયોજન કર્યું છે અને કેમ્પ તથા આસપાસના વિસ્તારોમાં ઊચ્ચતમ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ પર્યાવરણ જળવાય તે માટે તમામ જરૂરી પગલાં ભર્યાં છે.
એસ્સાર ગ્રૂપના રેસિડેન્ટ ડિરેક્ટર ભાવેન ભટ્ટે આ તકે એસ્સાર ગ્રૂપના સમાજહિત માટેની નેમને દોહરાવતા જણાવ્યું હતું કે એસ્સાર ગ્રુપ વિવિધ કાર્યક્રમો દ્વારા સતત સમાજના કલ્યાણ માટે કાર્યરત છે.
આ માર્ગ પરથી આશરે 2 લાખ જેટલા પદયાત્રીઓ દ્વારકા તરફ પગપાળા જશે અને આશરે 40 થી 50,000 જેટલા ભક્તો આ કેમ્પમાં પૂરી પડાતી ખોરાક, પાણી, આરામ અને તબીબી સુવિધાઓનો સીધો લાભ લેશે. દ્વારકા પદયાત્રી સેવા કેમ્પના આ આયોજન બદલ જામનગર અને દ્વારકા જિલ્લાના સાંસદ પુનમબેન માડમે એસ્સાર ગ્રૂપના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત તમામ ગ્રામજનોને શુભેચ્છા પાઠવી હતી.


