જામનગર શહેરના કાલાવડ નાકા બહાર રંગૂનવાલા હોસ્પિટલની બાજુમાં આવેલી એક સંકુચિત ગલીમાં આજ રોજ વહેલી સવારે લગભગ 3:45 કલાકે એક જૂના મકાનની છત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. અચાનક પડેલી આ છતના કારણે મકાનમાં રહેતા પાંચ લોકો મકાનના કાટમાળ નીચે ફસાઈ ગયા હતા. ઘટનાસ્થળે તાત્કાલિક બનતી જ સ્થાનિક લોકો દ્વારા જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી ઝડપભેર રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કાટમાળ નીચે ફસાયેલા હુસેનભાઇ સાટી (ઉંમર 60), સખીનાબેન (ઉંમર 32), ત્રણ વર્ષની નાયઝા, ત્રણ મહિનાનું બાળક અને રજીયાબેન (ઉંમર 60) એમ કુલ પાંચ લોકોને રેસ્ક્યુ કરીને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં રજીયાબેનને નાકના ભાગે ગંભીર ઈજા થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અન્ય લોકોની સ્થિતિ હાલ સારી હોવાનું જાણવા મળે છે.
View this post on Instagram
આ ઘટના એવા સમયે બની છે જ્યારે શહેરના જૂના વિસ્તારોમાં વર્ષો જૂના અને જર્જરિત મકાનો અંગે સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે. અગાઉ પણ આ વિસ્તારમાં છત ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હોવાને કારણે નાગરિકોમાં ભયનું વાતાવરણ છે. ફાયર વિભાગની તાત્કાલિક કામગીરી અને સ્થાનિક લોકોની સહાયથી મોટી જાનહાનિ ટળી છે. ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.


