જાણીતા ન્યૂઝ એડિટર અને પત્રકારત્વના વિશ્વમાં પ્રતિષ્ઠિત નામ એવા રજત શર્માએ તાજેતરમાં વનતારાની મુલાકાત લીધી હતી. આ અવસરે તેઓ અંબાણી પરિવારના વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. વનતારામાં કરવામાં આવી રહેલી કામગીરીને નજીકથી નિહાળી રજત શર્માએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા ખુશી અને ગૌરવ સાથે જણાવ્યું કે મૂંગા પશુઓના સંરક્ષણ, સારવાર અને સંવર્ધન માટે અનંત અંબાણી દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગીરી ખરેખર ઐતિહાસિક કહી શકાય તેવી છે.
રજત શર્માએ જણાવ્યું કે વનતારા માત્ર એક પ્રોજેક્ટ નથી, પરંતુ માનવતા, કરુણા અને જવાબદારીનું જીવંત ઉદાહરણ છે. અહીં ઘાયલ, બીમાર અને લુપ્તપ્રાય બનતા પશુઓ માટે આધુનિક સારવાર સુવિધાઓ, વૈજ્ઞાનિક પદ્ધતિથી સંરક્ષણ અને સુરક્ષિત વાતાવરણ પૂરુ પાડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મૂંગા પશુઓ માટે જે રીતે પ્રેમ, કાળજી અને સમર્પણ સાથે કામગીરી કરવામાં આવે છે, તે સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ છે.
View this post on Instagram
તેમણે વધુમાં ઉમેર્યું કે અનંત અંબાણીની આગેવાનીમાં વનતારા પ્રોજેક્ટ દ્વારા પ્રાણી કલ્યાણને નવી દિશા મળી છે. વિકાસ અને ઉદ્યોગ સાથે પ્રકૃતિ અને જીવસૃષ્ટિના સંરક્ષણનો સંતુલિત સંદેશ આ પહેલ આપે છે. આવી વિચારધારા અને અમલ દુર્લભ છે અને તે ભારતની ધરતી પર ગૌરવ વધારનાર છે.
રજત શર્માએ અંબાણી પરિવારનો આભાર માનતા જણાવ્યું કે વનતારા જેવી પહેલ ભવિષ્યની પેઢીઓને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ પ્રયાસો લાંબા ગાળે પ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં માઈલસ્ટોન સાબિત થશે અને સમગ્ર દેશ માટે ગૌરવનું કારણ બનશે.


