ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદનું માવઠું જોવા મળવાની શક્યતા છે. ફરીવાર રાજ્યમાં માવઠાનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે હવામાન વિભાગે આજે 7 એપ્રિલના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની આગાહી કરી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. ઉપરાંત છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. આઠમી એપ્રિલથી ગરમીમાં વધારો થશે.આજે પવનની ગતિમાં વધારો થશે.બે દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.આ બધું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થવાને કારણે બની રહ્યું છે. જેના કારણે રાજ્યમાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ બે સિસ્ટમ સક્રિય હોવાથી આગામી બે દિવસ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને બે દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. તાપમાનની વાત કરીએ તો, વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 36.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગરમી વચ્ચે વાદળછાયું વાતાવરણ અને અચાનક વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ગુજરાત માટે માવઠું માત્ર ખેતી પૂરતું જ નહીં, પરંતુ માનવજીવન માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યું છે. છેલ્લા બે અઠવાડિયામાં જ 5 લોકો માવઠાનો ભોગ બન્યા છે.
આ બદલાતા હવામાનને કારણે ઉભા પાક અને બાગાયતી ખેતીને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. તાપમાનની વાત કરીએ તો, આગામી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ રાજ્યભરમાં ગરમીનો પારો ધીમે-ધીમે 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધવાની શક્યતા છે. ૮ એપ્રિલથી ફરી રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન શુષ્ક થઈ જશે.


