જામનગર તાલુકાના ધુતારપર (જૂનું ગામ)માં રહેતી મહિલાએ તેણીના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ જીવતર ટૂંંકાવ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ધુતારપર (જૂનુ ગામ) વિસ્તારમાં રહેતાં શાંતિબેન મહેશભાઇ રાઠોડ (ઉ.વ.30) નામની મહિલાએ ગત્ તા. 09ના રોજ સવારના સમયે તેના ઘરે રૂમના પંખાના હૂકમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં મહિલાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં મહિલાનું બુધવારે સવારે સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. દરમ્યાન બનાવ અંગેની મૃતકના પતિ મહેશભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જી. કે. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરતાં મહિલાના પુત્ર દેવલ ગત્ તા. 08ના રોજ સાયકલમાં હવા ભરતો હતો ત્યારે સાયકલની ટયૂબ ફાટી જતાં આ બાબતે દેવલના પિતા મહેશભાઇ દ્વારા પુત્રને ઠપકો આપતા આ ઠપકાથી લાગી આવતા દેવલની માતા શાંતિબેનએ જિંદગી ટૂંકાવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.


