લાલપુર તાલુકાના ધરમપુર ગામના પાટિયા પાસેથી ઘર તરફ જતાં આધેડને પુરપાટ આવી રહેલા અજાણ્યા કારના ચાલકએ ઠોકર મારી પછાડી દેતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને જામનગરની જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામના વતની અને હાલમાં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના હનુમાનગઢ ગામમાં રહેતા દેશુરભાઇ જીવાભાઇ મોરી (ઉ.વ.50) નામના આધેડ ગત્ તા. 09 ફેબ્રુઆરીના રાત્રિના સમયે ત્રણ પાટિયાથી બસમાં બેસી લાલપુર તાલુકાના ધરમપુર ગામ આવતા હતા ત્યારે ધરમપુરના પાટિયે ઉતરી ગામ બાજુ જતા હતા તે દરમ્યાન પુરપાટ બેફિકરાઇથી આવી રહેલી અજાણી કારના ચાલકએ આધેડને ઠોકરે ચઢાવી હડફેટ લેતાં પછાડી દીધા હતા. અકસ્માતમાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલક રાત્રિના અંધારામાં પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ દેશુરભાઇને 108 એમ્બ્યુલન્સ દ્વારા લાલપુરની અને વધુ સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન આધેડનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની રંભીબેન દ્વારા જાણ કરાતા પીઆઇ કે. એલ. ગળચર સ્ટાફ સાથે હોસ્પિટલ પહોંચી જઇ અજાણ્યા કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


