દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાથી સોડસલા માર્ગ પર આવેલા ચારથી પાંચ જેટલા મોટાં વૃક્ષોનું છેદન કરવામાં આવતા પર્યાવરણપ્રેમીઓમાં ઉગ્ર રોષ ફેલાઇ ગયો છે. જો કે, આ વૃક્ષો કયા કારણોસર કાપવામાં આવ્યા? તે જણાયું નથી. પરંતુ સ્થળની બાજુમાં પીજીવીસીએલની કામગીરી ચાલુ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
હાલ સમગ્ર દુનિયામાં પર્યાવરણને બચાવવા અનેક સંસ્થાઓ અને લોકો વૃક્ષો વાવે છે અને એનું જતન કરે છે. વૃક્ષોના ગેરકાયદેસર કપાવવાથી હાલ પર્યાવરણને ભારે નુકશાન થઈ રહ્યું છે. ત્યારે હમણાં સલાયા અને સોડસલા વચેના રોડ ઉપર લગભગ 4 થી 5 જેટલા મોટા વૃક્ષો કાપવામાં આવ્યા છે. અને અમુક વૃક્ષોની મોટી મોટી શાખાઓને કાપી અને ભારે નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. આ દ્રશ્યો જોઈ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ પ્રગટયો છે. હાલ ત્યાં પીજીવીસીએલની કામગીરી ચાલુ હોય એવું જણાઈ છે. દરેકના મોઢે એક જ વાત થઈ રહી છે કે, આટલા વર્ષોના જતન બાદ મોટા થયેલ આ વૃક્ષો કાપવાનું કારણ શું ? જો આવી રીતેજ વૃક્ષોનું છેદન ભવિષ્યમાં થતું રહેશે તો પર્યાવરણને આવનારા સમયમાં ભારે નુકશાન થશે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી અને વનવિભાગે આ બાબતની નોંધ લેવી જોઈએ તેમ પર્યાવરણપ્રેમીઓમાં સૂર ઉઠી રહ્યો છે.


