જામનગર શહેરમાં 4 વર્ષ પૂર્વે તરૂણીને ઉચકીને લઇ જઇ નરાધમ શખ્સે રેલ્વેના પાટા પાસે બાવળની ઝાળીઓમાં દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને અદાલતે નરાધમને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને ભોગ બનનારને વળતર પેટે પાંચ લાખ ચૂકવવાનો સ્પે.કોર્ટે આદેશ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ વર્ષ 2018માં જુન માસમાં પોરબંદરના વતની અરવિંદ બાબુ સોલંકી નામના શખ્સે તરૂણીને ઉચકીને રેલવેના પાટા નજીક આવેલી બાવળની ઝાળીઓમાં લઇ જઇ દુષ્કર્મ આચરી અને પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ આ બનાવમાં પોકસો કલમ હેઠળ ભોગ બનનાર તરૂણીના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે અરવિંદની ધરપકડ કરી હતી. આ કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદીની ધારદાર દલિલોને ધ્યાનમાં રાખીને ન્યાયધીશે આરોપી અરવિંદને તકસિરવાન ઠેરવી 363 મુજબ પાંચ વર્ષ, 366 મુજબ પાંચ વર્ષ તથા 376(એ) મુજબ આજીવન કેદની એટલે કે, કુદરતી મૃત્યુ ન થાય ત્યાં સુધીની સજાનો આદેશ કર્યો હતો. તથા 1000નો દંડ ફટકાર્યો હતો અને આરોપીને રૂા.5,00,000 ભોગ બનનારને તરૂણીને વળતર પેટે ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો.