જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના ચાતૂર્માસ પૂર્ણ થયા પછી ધર્મ પ્રભાવનાઅર્થે શેષ વિહારમાં ગામોગામ જતા હોય છે. તીર્થાટન કરતા હોય છે. શેષ વિહાર દરમ્યાન અનેક સાધુ-સાધ્વીજીઓ અકસ્માતનો ભોગ બનતા કાળધર્મ પામતા હોવાના બનાવો અનેકવાર બનતા રહે છે. જો કે હજુ સુધી શેષ વિહારમાં જતા સાધુ-સાધ્વીજીઓના રક્ષણ માટે વ્યવસ્થા કરવાની જરૂર છે.
આજે વહેલી સવારે જસદણથી બોટાદ તરફ વિહાર કરીને શાસન સમ્રાટ નેમિસૂરી સમુદાયના 19 સાધ્વીજીઓ જતા હતા ત્યારે જસદણથી થોડેક દુર ટ્રેકટર મગફળી ભરીને જતું હતું. ત્યારે એક કાર ટ્રેકટર સાથે અથડાઇને ડીવાઇડર પર ચઢી ગઇ હતી. આ અકસ્માતમાં મગફળીથી ભરેલું ટ્રેકટર પલટી મારી ગયું અને ટ્રેકટરનો ખૂંટો વિહાર કરતા સાધ્વીજી ભગવંત શ્રી શ્રુતનિધિશ્રીજી મહારાજના મસ્તકે લાગતા ઘટના સ્થળે જ કાળધર્મ પામ્યા હતા.
બે સાધ્વીજીઓમાં પૂ. શ્રી ધર્મપ્રજ્ઞાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી શ્રી શ્રુતવૃઘ્ધિશ્રીજી મ.ને ગંભીર ઇજા થવા પામી હતી. જેમાં સા. શ્રી ધર્મપ્રજ્ઞાશ્રીજી મ.ને ફ્રેકચર આવેલ છે તથા સા.શ્રી શ્રુતવૃધ્ધિશ્રીજી મ.ને મસ્તક પર ઇજા થઇ છે. આ અકસ્માતમાં ગંભીર ઇજા પામેલા બંને સાધ્વીજીઓને તાત્કાલીક કે.ડી.હોસ્પિટલ (આટકોટ) લઇ જવામાં આવ્યા હતા. કાળધર્મ પામેલા સાધ્વીજી ભગવંત શ્રી શ્રુતનિધિશ્રીજી મ. તે મણિલક્ષ્મી તીર્થ પરિવારના સગા ફૈબા મહારાજ થતા હતા. સા.શ્રી શ્રુતવૃધ્ધિશ્રીજી મ.ના પાર્થિવ દેહને મણિલક્ષ્મી તીર્થ લાવવામાં આવશે અને અંતિમ ક્રિયા પાલીતાણાથી પાલખી પણ મંગાવવાની વ્યવસ્થા કરાઇ છે. આ સમાચાર વાયુવેગે જૈન સમાજમાં ફરી વળતા ઘેરા શોકની લાગણી છવાઇ જવા પામી છે. ગંભીર ઇજા પમોલા બે સાધ્વીજી ભગવંતોની સારવાર વોકહાર્ટ હોસ્પિટલમાં થઇ રહી છે.


