આગામી નવરાત્રિ મહોત્સવના આયોજનને લઇને જામનગર મહાપાલિકાએ પણ અન્ય શહેરોની જેમ ગાઇડલાઇન જાહેર કરી છે. આ નવરાત્રિના પરંપરાગત તેમજ કોમર્શિયલ આયોજનોમાં જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને કુલ 30 મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરી આ ગાઇડલાઇનમાં દર્શાવવામાં આવેલા નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.




નવરાત્રિ આયોજકો દ્વારા મંડપ, પંડાલ કે સ્ટેજના નિર્માણ સ્થળે ફાયર સેફ્ટી, ઇમરજન્સી એક્ઝિટ ગેટ, દર્શકો-ખેલૈયાઓની સંખ્યા, બેઠક વ્યવસ્થા, ઇલેકટ્રીક ઉપકરણોનું ઇન્સ્ટોલેશન, સીસીટીવી, જનરેટર સેટ વગેરે બાબતો અંગે ફાયર વિભાગનો અભિપ્રાય મેળવી તેનું ‘ઓનઓસી’ લેવાનું રહેશે. તેમજ ફાયર પ્રિવેન્શન અને સેફ્ટી મેજરસેટની સૂચનાઓનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.
ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર અથવા તો અમલ નહીં કરનાર ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે તેમજ જો કોઇ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પણ જે તે ગરબા આયોજકોની રહેશે તેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.


