Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગરનું વેકિસન તંત્ર રાજકોટની દયા પર જીવે છે !

જામનગરનું વેકિસન તંત્ર રાજકોટની દયા પર જીવે છે !

જામનગરમાં કોઇ અધિકારીઓ કે પદાધિકારીઓને કેટલી વેક્સિન આવી અને કેટલીનો વપરાશ થયો? અને હવે કેટલી વેક્સિન કયારે આવશે તે અંગે કશી જ જાણકારી નથી!

- Advertisement -

જામનગરમાં વેક્સિનના મુદ્દે સંપુર્ણ લોલમલોલ ચાલે છે. જામનગર મહાનગરપાલિકાને વેક્સિનમાં કશી ગતાગમ પડતી નથી. ઉપરથી આવે તેટલો જથ્થો વાપરી નાખે છે. નવો જથ્થો કયારે આવશે? તે અંગે કશી ખબર હોતી નથી! જામનગરની જરૂરીયાત જેટલો જથ્થો સરકાર દ્વારા આપવામાં આવે છે કે કેમ? તે અંગેના આંકડાઓ જાહેર કરવામાં જામનગર મહાનગરપાલિકાને તકલીફો પડી રહી છે. અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર હોતી હૈ, ચલતી હૈ ની માફક શહેરમાં તથા જિલ્લામાં વેક્સિનેશનની કામગીરીઓ કરી રહ્યા છે.

જામનગર શહેરમાં આડેધડ વેક્સિનેશન થઇ રહ્યું છે. મહાનગરપાલિકાની પોતાની પાસે વેક્સિનનો પૂરતો જથ્થો હોતો નથી અને મહાનગરપાલિકા ગામમાં ખાનગી સંસ્થાઓને વેક્સિનનું દાન કરવા નીકળે છે. મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો પર કોઇ પ્રકારની વ્યવસ્થા હોતી નથી. અધિકારીઓ અને પદાધિકારીઓ આરોગ્ય કેન્દ્રનું મોનિટરીંગ કરતાં નથી. નગરજનો પરેશાન હોવા છતાં નગરજનોની ફરિયાદો કોઇ સાંભળતું નથી. આરોગ્ય કેન્દ્રો પર વ્યવસ્થા જાળવવા વારંવાર પોલીસ બોલાવવી પડે છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન અને સ્પોટ રજીસ્ટ્રેશનમાં અનેક પ્રકારની અસુવિધાઓ છે. પ્રજાની ફરિયાદો કોઇ સાંભળતું નથી.

જામનગર શહેર જ નહીં જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને ખુદને જિલ્લામાં વેક્સિનની સ્થિતિ અંગે ખાસ કોઇ ખબર નથી. વેક્સિન માટે ગાંધીનગર અને રાજકોટ વચ્ચે સંકલન થાય છે પરંતુ આ સંકલનમાં જામનગરનો કયાંય સમાવેશ નથી. રાજકોટથી જેટલી અને જયારે વેક્સિન આવે ત્યારે વેક્સિનની રગડધગડ કામગીરી કરવાથી વિશેષ જામનગરમાં કશું થતું નથી.

નવાઇની વાત એ છે કે, જામનગર શહેર અને જિલ્લામાં આ પ્રકારની અવ્યવસ્થા અને વેક્સિનનો અભાવ ઘણાં દિવસથી હોવા છતાં સૌ ચુપ છે અને બીજી બાજુ હજારો નગરજનો વેક્સિન માટે રઝળપાટ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular