જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા.8ના રોજ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 25 નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં સમગ્ર કાર્યક્રમ અંગે માહિતી અપાઇ હતી.
જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ છેલ્લા 25 વર્ષથી સતત સમુહ લગ્નનું આયોજન કરે છે ત્યારે આ વર્ષે 26માં સમુહ લગ્નમાં 25 નવ દંપતિના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં રાજપૂત સમાજના આમંત્રિત મહેમાનો પ.પૂ. આત્મનંદ સરસ્વતી મહારાજ (ભજનાનંદ આશ્રમ-બોટાદ) તેમજ સમાજના ગુજરાત પ્રદેશ કક્ષાના રાજકીય આગેવાનો, સ્થાનિક રાજપૂત સમાજના રાજકીય તથા સામાજીક આગેવાનો સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેનાર હોય આ વખતે સ્થળમાં ફેરફાર કરી શહેરના મઘ્ય વિસ્તારમાં આવેલ ઓશવાળ સેન્ટર ખાતે આ સમુહ લગ્નનું આયોજન કરાયું છે. જેનો સંપુર્ણ ખર્ચ તેમજ મંડપ ડેકોરેશન ખર્ચ, જામનગર જિલ્લાના અગ્રણી અને જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન તથા હાલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી અને ગુજરાત ફેડરેશન એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જામનગર જિલ્લા રાજપૂત સમાજના અગ્રણી ઉદ્યોગપતિ બીપેન્દ્રસિંહ જાડેજા (ડાડા) જેઓ પોતાના પુત્ર કર્મરાજસિંહના લગ્ન જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિમાં કરવાનો આવકાર દાયક નિર્ણય લઇ સામાજીક દાખલો બેસાડયો છે. આ નિર્ણયથી રાજપૂત સમાજના જે આર્થિક રીતે નાના વર્ગના વ્યકિતઓ સમુહ લગ્નમાં લગ્ન કરવા માટે નિર્ણય લેવામાં નાનપ અનુભવતા હોય તેના માટે ઉદાહરણરૂપ બન્યા હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.
વધુમાં આયોજકોએ જણાવ્યું હતું કે આવતા વર્ષે 27માં સમુહ લગ્નમાં 100 નવ દંપતિ આ સમુહ લગ્નમાં જોડાય તેવો પ્રયાસ છે. આ વર્ષે યોજાનાર સમુહ લગ્નમાં કરીયાવરમાં દાતાઓ દ્વારા સોના-ચાંદીની વિશિષ્ટ ઝવેલરી, રેફ્રીઝેટર, એલઇડી ટીવી, ફુલ ફર્નીસડ બેડ, વિવિધ કિચન સામગ્રી સહિતની કિંમતી વસ્તુઓ આપવામાં આવશે. આ ઉપરાંત સમુહ લગ્નોત્સવના ભોજન સમારંભના દાતા તરીકે રાજ્યના શિક્ષણમંત્રી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા રહેશે. તા.8 માર્ચના ઓશવાળ સેન્ટર ખાતે યોજાનારા આ સમુહ લગ્નમાં 25 યુગલો જોડાશે. જે માટેની તૈયારી ચાલી રહી છે.
આયોજકોએ જણાવ્યું હતું કે આગામી સમુહ લગ્ન માટે હવેથી 12 માસ ફોર્મ ભરવા માટેનું કાર્ય ચાલુ રહેશે તેમજ રાજપૂત સમાજમાં કુરીવાજો, બીનજરૂરી ખર્ચ વગેરેનો ત્યાગ કરી વધુને વધુ લોકો પોતાના દિકરા-દીકરીઓના લગ્ન સમુહમાં કરે તેવા પ્રયાસો કરાઇ છે. તેમજ જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા સામાજિક દાતાઓ તરફથી મળેલ અનુદાનમાંથી સમાજ હિત માટે સમાજના દીકરા-દિકરીઓને આ સંસ્થા દ્વારા કોમ્પ્યુટર કલાસ તેમજ ઇંગેલીશ કોચિંગ કલાસ, મહિલાઓ તથા વિધવા મહિલાઓ માટે સીવણ કલાસ, તથા આર્થિક રીતે નબળા પરીવારના દીકરા-દીકરીઓ જે ભણવામાં ખુબ જ હોશિયાર છે તેને શાળા-કોલેજની ફીની મદદ કરવામાં આવે છે. તથા આર્થિક રીતે નબળા તેમજ વિધવા માતા બહેનોના પરિવારને રાશન કીટ વગેરે જેવી મદદ કરવામાં આવે છે.
આ પત્રકાર પરીષદમાં જામનગર જિલ્લા રાજપૂત સમાજ સમુહ લગ્ન સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, રાજપૂત સમાજના અગ્રણીઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), પ્રવિણસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા), ભરતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


