જામનગરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે સહિ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જામનગર શહેરભરમાં તા.3 થી 10 ઓકટોબર સુધી વિવિધ વોર્ડમાં જઇ લોકોની સહિ અને અભિપ્રાય લેવામાં આવશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખએ જણાવ્યું હતું.
દેશભરમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસ દ્વારા ઝુંબેશ ચલાવાઇ રહી છે. મતદાર યાદીમાં અને ચુંટણીમાં ગેરરિતીઓ સામેની આ લડતને આગળ વધારવા દેશ વ્યાપી ‘વોટ ચોર ગાદી છોડ’ સહિ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે દેશભરમાંથી 5 કરોડ જેટલી સહિ એકત્ર કરવામાં આવશે. જે માટે દરેક જિલ્લા તાલુકા, ગામડા, શહેરોમાંથી વધુમાં વધુ સહિ એકત્ર થાય તેવું આયોજન હાથ ધરવામાં આવશે. આ અંગે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરીષદ યોજાઇ હતી. જેમાં વોટ ચોર ગાદી છોડ સહિ ઝુંબેશ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઝુંબેશ સાથે કોંગ્રેસ ચુંટણી પંચ પાસે જાહેર ચકાસણી માટે ફોટા સાથે મશીન રીડેબલ મતદાર યાદી ઉપલબ્ધ કરાવવા, દરેક ચુંટણી પહેલા ફોટોગ્રાફસ સાથે રદ કરવાની અને ઉમેરવાની યાદી જાહેરમાં પ્રકાશીત કરવા, ખોટી રીતે રદ કરેલા મતદારો માટે સુલભ ફરિયાદ નિવારણ પ્રણાલી બનાવવા, છેલ્લી ઘડીએ મતો કાઢી નાખવાનું કે ઉમેરવાનું ટાળવા અને સ્પષ્ટ નિર્ણાયક તારીખ (કટ ઓફ ડેઇટ) અગાઉથી જાહેર કરવા, મતદારો છુપાવવામાં સામેલ અધિકારીઓ, એજન્ટો સામે કાર્યવાહી કરવા માંગણી કરશે.
આ પત્રકાર પરીષદમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામનગર મહાનગરપાલિકા વિરોધપક્ષ નેતા ધવલભાઇ નંદા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઇ માડમ, આનંદ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


