જામનગર શહેર જિલ્લામાં કોરોના અજગરી ભરડો લઇ રહ્યો છે અને કોરોના મહામારીનું સંક્રમણ અનેક ગણી ઝડપે વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 398 અને ગ્રામ્યના 339 કેસ મળી 737 કેસ નોંધાયા છે. તો 525 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 14 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 700 ને પાર થઈ ચૂકી છે. જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો ધીમે-ધીમે ઘટવા લાગી છે અને વેઇટીંગમાં રહેલા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર અને રાહતરૂપ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ સતત વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં 398 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે 304 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 339 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે 221 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 342532 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 255731 સેમ્પલનું પરીક્ષણ થયું છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગરમાં 14 દર્દીઓના મોત થી અરેરાટી ફેલાઈ ગઇ છે. ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક માસથી વધતા જતા કોરોના સંક્રમણમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં છેલ્લા ચાર દિવસથી નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. અને મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટતું જાય છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 12955 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જ્યારે 133 દર્દીઓના મોત નિપજ્યા છે અને 12995 દર્દીઓએ કોરોનાને માત આપી હતી.
જામનગર જિલ્લામાં 525 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
શહેરમાં 398 અને ગ્રામ્યના 339 કેસ મળી 737 કેસ પોઝિટિવ : શહેરમા: 304 અને ગ્રામ્યમાં 221 દર્દી સાજા થયા : 14 દર્દીના મૃત્યુ


