જામનગર શહેરમાં રામેશ્વરનગર વિનાયકપાર્કમાં પાણીના ટાંકા પાછળ બાવળમાં સોમવારે બપોરના સમયે અકસ્માતે આગ લાગી હતી. આ આગ બાજુમાં રહેલા મોબાઇલના ટાવરને ઝપેટમાં લેતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેને પગલે વિસ્તારના રહેવાસીઓમાં અફડા તફડીનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા જામનગર મહાનગરપાલિકાનું ફાયર શાખા દોડી જઇ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. મોબાઇલ ટાવરને લઇ તંત્ર પણ દોડી ગયું હતું. સમયસર આગ કાબુમાં આવી જતા સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. આ આગને પરિણામે રહેઠાણા વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા નજરે પડયા હતા.


