વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી કેર ફોર ચિલ્ડ્રન યોજનાનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર જિલ્લા કલેકટર કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેકટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ યોજના હેઠળ મંજૂર થયેલ જામનગર જિલ્લાના 12 લાભાર્થી બાળકોને કલેકટર દ્વારા કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાનનો બાળકોને નામ સ્નેહપત્ર, કલેકટરનું સર્ટિફિકેટ, PMJAY-MA કાર્ડ, સ્કૂલ બેગ, શાળાએ જતા ધો.1 થી 12નાં બાળકોને સ્કોલરશીપની સહાય અને સ્ટેશનરીની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના જાહેર કરવામાં આવી હતી. જેનું અમલીકરણ મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. આ યોજના હેઠળ કોરોના સંક્રમણથી જે બાળકના માતા – પિતા બન્ને અથવા કોઈ એકનું અવસાન પહેલા થયું હોય, હાલના સર્વાઇવિંગ પેરેન્ટસનું કે દત્તક વાલીનું અવસાન થયું હોય તેવા બાળકોના સર્વાગી વિકાસ માટે આ યોજના હેઠળ બાળક 23 વર્ષનું થાય ત્યારે રૂ.10 લાખની સહાય મળવા પાત્ર છે.
વડાપ્રધાનએ વીડિયો કોન્ફરન્સ મારફતે જણાવ્યું હતું કે બાળકોની વચ્ચે આવીને આજે મને સંતોષ મળ્યો છે. દેશની સંવેદના બાળકોની સાથે છે. તમારા સપના પૂર્ણ કરવા આખો દેશ તમારી સાથે છે. માં ભારતી તમામ બાળકોની સાથે છે. દેશભરમાં અનાથ થયેલા બાળકોની મદદ અને તેમના સર્વાંગી માટે સરકાર હંમેશા તત્પર છે.
મુખ્યમંત્રી બાળસેવા યોજના અંતર્ગત 23 વર્ષની વય સુધી માસિક રૂ.4000 ની સહાય અથવા પાલક માતા-પિતા યોજના અંતર્ગત 18 વર્ષની વય સુધી માસિક રૂ.3000 સહાય જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે પોસ્ટમાં બાળકોના સંયુક્ત ખાતા ખોલાવવા તથા પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના અન્વયે રૂ.10 લાખ સુધીની વયમર્યાદા ધ્યાને રાખી શકાય.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટર મિતેષ પંડ્યા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા,બાળ કલ્યાણ સમિતિમાંથી હર્ષિદાબેન પંડ્યા, ચમનભાઈ સોજીત્રા, સમાજ સુરક્ષા અધિકારી પ્રાર્થનાબેન સિરસિયા, બાળ સુરક્ષા અધિકારી જ્યોત્સનાબેન હરણ, જેજેબી સભ્યોમાંથી ક્રિષ્નાબેન, એમ. એન. કગથરા, પોસ્ટ ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ, શ્રમ અધિકારી તેમજ સીએચઓ આ ઉપરાંત 12 બાળકો, તેમના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ તમામ બાળકોને જમવા તેમજ લેવા મૂકવા માટેની સગવડ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.


