જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આયોજીત લોકમેળા સામે મનાઇ હુકમની માંગણી અદાલત દ્વારા રદ કરવામાં આવી છે. જેને લઇ લોકમેળાના આયોજનનો માર્ગ મોકળો બન્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ લોકમેળાની તૈયારીને આખરીઓપ અપાઇ રહ્યો છે અને આવતીકાલે આ લોકમેળાનું ઉદ્ઘટન થઇ શકે છે તેમ પણ જાણવા મળી રહ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ પ્રદર્શન મેદાનમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલમાં પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપો કાર્યરત હોય મેળા માટે ઓછી જગ્યા હોય જામનગરના એક નાગરીકે આ અંગે કોર્ટમાં લોકમેળા સામે મનાઇ હુકમની માંગણીનો દાવો કર્યો હતો. પ્રદર્શન મેદાનમાં એસ.ટી. બસ ડેપોના કારણે મુસાફરોના આવાગમન અને લોકમેળામાં કોઇ ઘટના બને તેવા મુદાઓને રજુ કરી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં એક તબકકે અરજદારને રૂા.10 હજારનો દંડ ફટકારી અદાલતે દાવો રદ કર્યો હતો. તેની સામે સેસન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જયાં જામનગર મહાનગરપાલિકાના વકીલ વિરલ રાચ્છ તથા અરજદારના વકીલો વચ્ચે લાંબી દલીલો ચાલી હતી અને સોમવારે અરજદારની મનાઇ હુકમની માંગણી રદ કરતો હુકમ કરવામાં આવ્યો હતો. જેને લઇ મેળા આડેના અંતરાયો દૂર થતાં મેળાના આયોજનનો માર્ગ મોકળો બન્યો હતો. ગઇકાલે સોમવારે મેળા સામે મનાઇ હુકમની માંગણી રદ થતાં તંત્ર દ્વારા મેળાના આયોજનની તૈયારી પુરજોશમાં શરૂ કરવામાં આવી હતી. અને આ અંગે મળતી માહિતી અનુસાર આવતીકાલે આ લોકમેળાનું ઉદ્ઘાટન થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
ગઇકાલે સોમવારે આમ મનાઇ હુકમની માંગણી રદ કરવામાં આવ્યા બાદ આ લોક મેળામાં વધુ એક વકીલની એન્ટ્રી થઇ છે અને જામનગરના એડવોકેટ અનિલ મહેતા દ્વારા આ સમગ્ર મામલે વડી અદાલતમાં અપીલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે જેથી જન્માષ્ટમીના પર્વને ગણતરીના દિવસો બાકી હોય આ લોક મેળો આ વર્ષે ચર્ચાનો મુદો બન્યો છે.


