જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં રહેતાં વૃદ્ધા તેમના ઘરે ચાલુ ચુલામાં કેરોસીન નાખવા જતાં અકસ્માતે ભડકો થવાથી શરીરે દાઝી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે રહેતાં અને ડ્રાઇવિંગ કરતો યુવાન ફુલઝર નદીના ચેકડેમ પર ન્હાવા ગયો તે દરમ્યાન ડેમના પાણીમાં ગરક થઇ જતાં મોત નિપજયું હતું.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામજોધપુર તાલુકાના ડેરી આંબરડી ગામમાં રહેતાં અને ખેતી કરતા મણીબેન આલાભાઈ પીપરોતર (ઉ.વ.90) નામના વૃદ્ધા બુધવારે બપોરના સમયે તેના ઘરે ચુલામાં સીસીમાંથી કેરોસીન નાખવા ગયા તે સમયે એકાએક ભડકો થતા આગની જાળમાં શરીરે ગંભીર રીતે દાઝી જતાં નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની પરબતભાઈ દ્વારા જાણ કરાતા હેકો પી.કે. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે અને ડ્રાઇવીંગ કરતો વજાભાઇ ઉર્ફે બાબુભાઇ પોલાભાઇ પંડત (ઉ.વ.25) નામનો યુવાન આજે સવારના સમયે ખટીયા ગામના પાટીયા પાસે આવેલી ફુલઝર નદીના ચેકડેમ પાસે તેનું જીજે-01-એચટી-5776 નંબરનું ટેન્કર રાખીને ડેમમાં ટેન્કર ધોવા અને ન્હાવા માટે ગયો હતો તે દરમ્યાન ડેમના પાણીમાં ગરક થઇ જતાં ડુબી ગયો હતો. ત્યારબાદ બનાવ અંગેની રામાભાઇ દ્વારા જાણ કરતાં હેકો. આઇ.કે.જાડેજા તથા સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનના મૃતદેહને ચેકડેમમાંથી બહાર કાઢી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી.


