જામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ માસના અંતિમ દિવસ શ્રાવણી અમાસ નિમિત્તે વિવિધ શિવાલયોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જેને લઇ શિવભકતોમાં અનેરો ઉત્સાહ છવાયો હતો. અને મોડીરાત્રી સુધી આ શિવદર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

જામનગર સહિત હાલાર પંથકમાં છેલ્લાં એક માસથી શિવભકતો દ્વારા શિવજીની આરાધના થઈ રહી હતી. શ્રાવણ માસ નિમિત્તે શિવભકતોએ ભગવાન ભોળાનાથને રિઝવવા જળાભિષેક, દુગ્ધાભિષેક બિલ્વપત્ર અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી. તેમજ લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક સહિતના પૂજાપાઠો પણ થયા હતાં. ગઈકાલે શ્રાવણમાસનો અંતિમ દિવસ શ્રાવણી અમાસ અને સોમવાર હોય શિવભકતોનો ઉત્સાહ બેવડાયો હતો. વહેલસવારથી જ શિવમંદિરોમાં લાઈનો લાગી હતી અને શહેરીજનોએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી પ્રાર્થના કરી હતી. બપોરબાદ શહેરના અનેક નાના મોટા શિવાલયોમાં શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જામનગર શહેરમાં કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, જયંત સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિર, પટેલ કોલોની શેરી નં.6 માં જડેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વર મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર, મચ્છરનગરમાં ગંગેશ્વર મહાદેવ મંદિર સહિતના અનેક નાના મોટા શિવમંદિરોમાં આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જેના દર્શન કરવા શિવભકતો મોડીરાત્રિ સુધી ઉમટયા હતાં અને શિવ દર્શનનો અનેરો લાભ લીધો હતો.


